રાજકોટથી સોમનાથ જતાં મુસાફરોને વંદે ભારતનો લાભ
વેરાવળ-સાબરમતી વંદે ભારત ટ્રેનને રાજકોટથી દોડાવવા નિર્ણય: ટૂંકમાં થશે નોટીફિકેશન જાહેર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના મુસાફરોને વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનો લાભ મળશે. રેલવે દદ્વારા સાબરમતિ-વેરાવળ વચ્ચે વંદે ભારત ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ ટ્રેનને તા. 26મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવશે. આ ટ્રેન શરૂ થતાં સૌરાષ્ટ્રના બે મહત્વના તિર્થ સ્થળો જોડાશે જેમાં અગાઉ જામનગર રૂટ પર વંદે ભારત દોડાવાઈ રહી છે. ત્યારે હવે સોમનાથને જોડતી વંદે ભારત શરૂ થતાં દર્શન આવતા યાત્રિકોની સુવિધા વધશે.
રેલવે તંત્રના સુત્રોના જણાવ્યા મુજબ તા. 26મીથી થનાર વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સાબરમતિથી શરૂ થનાર ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ આપવામાં આવશે. જ્યારે અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ ત્યાં કામગીરી ચાલતી હોવાથી ત્યાં પણ સ્ટોપ આપવામાં આવશે. ટ્રેન આવક-જાવક ઉપરોક્ત સ્ટેશન ખાતે સ્ટોપ કરશે. ઉપરાંત ભાડુ હજી જાહેર કરાયુ નથી. પરંતુ રૂા. 100થી 2500 નક્કી થઈ શકે તેમ છે.
ગુરૂૂવાર સિવાયના તમામ વારે આ ટ્રેન દોડશે.
આથી અમદાવાદથી સોમનાથ દર્શનાર્થે આવતા ભાવિકો સહિતના લોકોને સુવિધા મળી રહેશે. રાજકોટથી વેરાવળ વચ્ચે ઈલેક્ટ્રીફિકેશન થઈ ગયા બાદ વધુ ટ્રેન ઉપલબ્ધ થઈ ન હતી. લાંબા અંતરની ટ્રેન આપવા અને વંદે ભારત ટ્રેન શરૂૂ કરવા માંગણી કરવામાં આવી હતી. 2022માં વેરાવળ સાબરમતી વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂૂ કરવા રેલવે બોર્ડમાં દરખાસ્ત થઈ હતી.
આખરે રેલવે બોર્ડ દ્વારા સાબરમતી-વેરાવળ-સાબરમતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને મંજૂરી આપી છે. આગામી તા.26મીએ આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. સાબરમતી સ્ટેશનથી આ ટ્રેન સવારે 5:25 વાગ્યે ઉપડી બપોરે 12:25 વાગ્યે વેરાવળ પહોચશે અને બપોરે 2:40 વાગ્યે વેરાવળથી ઉપડી રાત્રીના 9:35 વાગ્યે સાબરમતી પહોચશે. આમ, 438 કિલોમીટરનું અંતર કાપતા આ ટ્રેનને સાતેક કલાક જેટલો સમય લાગશે.
વેરાવળથી ઉપડવાના સમયથી દર્શનાર્થી અને મુસાફરોમાં કચવાટ
વંદે ભારત ટ્રેન વેરાવળ ખાતે બપોરે 12.25 કલાકે પહોંચશે અને ત્યાંથી પરત બપોરે 2.40 કલાકે ઉપડશે ત્યારે ઉપડવાના સમયમાં માત્ર બે કલાકનો સમય રહે છે. જેથી દર્શન કરવા જતાં મુસાફરોમાં કચવાટ ફેલાયો છે. કારણ કે, સોમનાથ દર્શન કરી બે કલાકમાં વેરાવળ પરત આવવું મુશ્કેલ હોય એક જ દિવસમાં પરત આવવા માંગતા યાત્રિકોમાં સમયને લઈ કચવાટ ફેલાયો છે.