વડોદરાનું તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ મધરાત્રે ભીષણ આગથી ભસ્મિભૂત
વડોદરાના મધુનગર વિસ્તારમાં આવેલા તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં રાત્રીના સમયે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. રાત્રિનો સમય હોવા છતાં આગ એટલી ઝડપથી ફેલાઈ કે થોડી જ મિનિટોમાં આખું રેસ્ટોરન્ટ તેની ઝપેટમાં આવી ગયું હતું. આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાતાં લોકોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ ના થઈ હોવાની માહિતી સામે આવી છે, આગ લાગ્યાની જાણ થતાં જ વડોદરા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની અનેક ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર-ફાયટરોએ રાત્રિ દરમિયાન જ ભારે જહેમત બાદ આગને સંપૂર્ણ કાબૂમાં લીધી હતી. રેસ્ટોરન્ટના મોટા પાયે નુકસાન થયું છે અને અંદરની સામગ્રી સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ છે.
આગ લાગવાનું હજી સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટની શક્યતા બતાવવામાં આવી રહી છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા ઘટનાની સઘન તપાસ હાથ ધરવામાં આવશે. રેસ્ટોરન્ટમાં ફાયર સેફટીના યોગ્ય સાધનો અને સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ હતી કે નહીં તે પણ તપાસનો મુખ્ય મુદ્દો બનશે. તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ પાસે જરૂૂરી ફાયર બ્રિગેડની એનઓસી મેળવવામાં આવી હતી કે નહીં તેની પણ તપાસ શરૂૂ કરવામાં આવશે. જો એનઓસી વગર રેસ્ટોરન્ટ ચાલી રહ્યું હોય તો જવાબદાર સામે પગલાં લેવામાં આવશે.