રાજ્યમાં કમોસમી વરસાદે સર્જી તારાજી: 104 તાલુકામાં ભારે પવન સાથે માવઠું, પાંચના મોત
હવામાન વિભાગની આગાહી વચ્ચે કમોસમી વરસાદે તારાજી સર્જી છે. રાજ્યના 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જે માં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગરમાં 1 ઈંચ વરસાદનો પડ્યો છે. 13 તાલુકામાં અડધાથી પોણા ઇંચ વરસાદ વરસ્યો છે. ગઈ કાલે સાંજે શહેરમાં વાવાઝોડા સાથે પડેલા તોફાની વરસાદમાં ઠેર - ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ઘણા સ્થળે વીજ વાયરો તૂટી પડયા હતા. વાવાઝોડાના કારણે રાજ્યભરમાં પાંચ વ્યક્તિઓના અલગ-અલગ ઘટનામાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. હવામાન વિભાગે હજુ આજે પણ 18 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર થયું છે.
ભાવનગરના સિહોરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ૧ કલાકમાં જ દોઢ ઈંચ વરસાદ પડ્યો જયારે ભાવનગરમાં બે કલાકમાં 1 ઈંચ જ્યારે ગાંધીનગરના માણસામાં 1 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય ખેડાના નડિયાદ-કપડવંજ-વસો, વડોદરા શહેર, બનાસકાંઠાના દિયોદર-ભાભર, આણંદના સોજીત્રા, અમદાવાદના ધોળકા, આણંદના તારાપુર, બોટાદના બરવાળા, ખેડાના મહેમદાબાદ, અરવલ્લીના બાયડ, સુરેન્દ્રનગરના ચોટિલામાં પણ અડધા ઈંચ કે તેથી વધુ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં કરા પણ પડયા હતા
આજે રાજ્યમાં 10 જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વીજળીના કડાકા અને કરા સાથે વરસાદની આગાહી થતાં ધરતીપુત્રોની ચિંતા વધી છે.