ગોંડલમાં રિપેરીંગ દરમિયાન વીજ શોક લાગતા બે કર્મચારીના મોત
ચાલુ કામે લાઇનમાં જનરેટરનો રીટર્ન પ્રવાહ ચાલુ થઇ જતાં અકસ્માત
ગોંડલના વોરા કોટડા રોડ પર આવેલી સબ જેલ સામે PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના જુના કંડકટર બદલાવી એમ.વી.સી.સી. કેબલ નાખવાની કામગીરી દરમિયાન કરંટ લાગવાથી બે કોન્ટ્રાક્ટ કર્મચારીના મોત નિપજતા ચકચાર જાગી છે આ દુર્ઘટનામાં 22 વર્ષીય ભગવાનસિંગ રામલાલ ભીલ અને 20 વર્ષીય સુરજકુમાર બનેસિંગ ભીલ નામના યુવાનોએ જીવ ગુમાવ્યા છે.
પીજીવીસીએલનાં અધિકારીનાં જણાવ્યા અનુસાર હાલમા જુના કંડકટર બદલીને એમવીસીસી કેબલ બદલવાની કામગીરી ચાલુ હતી. સવારે 8 વાગ્યે કોન્ટ્રાકટરનાં માણસો દ્વારા વિજયનગર ફીડરમા કામગીરી ચાલુ કરવામા આવી હતી. તે દરમિયાન જુના કંડકટરમા કોઇ જગ્યાએથી જનરેટરનો પાવર રીર્ટન થતા માણસોને ગંભીર શોર્ટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બંને યુવાને જીવ ગુમાવી દીધો હતો. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે. વીજ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અને સાવચેતી અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.