TRP અગ્નિકાંડ: ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની જામીન અરજી મંજૂર કરતી સુપ્રીમ કોર્ટ
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા ચીફ ફાયર ઓફિસર ખેરની જામીન અરજી સેશન્સ અને હાઇકોર્ટે નામંજુર કરતા ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે ચાલી જતા સુપ્રીમ કોર્ટ દ્વારા ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની જામીન અરજી મંજુર કરવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલી એસ.આઇ.ટી.ની તપાસમાં આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી, બાંધકામ સહિતની અનેક બાબતોમાં મહાપાલિકા સહિતના તંત્રો દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. તેથી ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિતના ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ થીબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
દરમિયાન આ કેસમાં ચાર્જશીટ થયા બાદ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થતાં ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી. જે જામીન અરજી હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવતા ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે જેલ મુક્ત થવા પોતાના વકીલ મારફત સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.