અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ટ્રિપલ અકસ્માત, 3ના મોત
પટેલ ટ્રાવેલ્સની બસમાંથી મુસાફરો ઉતરીને ઉભા હતાં ત્યારે પાછળથી આવતા ટ્રકે કચડયા: 20થી વધુ ઘાયલ
અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત થયો છે જેમાં 3ના મોત થયા છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. પટેલ ટ્રાવેલ્સની લકઝરી અને કિયા કાર અથડાતા બંનેના ડ્રાઇવર નીચે ઉતરી સમાધાન કરતા હતા તે સમયે જ લક્ઝરી બસમાંથી નીચે ઉતરેલા મુસાફરો પર પાછળથી અચાનક આવેલી ટ્રક ફરી વળી હતી.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતમાં 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાં મણિનગરની એલજી હોસ્પિટલમાં માત્ર એક જ દર્દી હાલ સારવાર લઈ રહ્યો છે. બાકીના 6 દર્દીઓ પ્રાથમિક સારવાર લઈને જતાં રહ્યાં છે. એલજી હોસ્પિટલમાં એક મૃતદેહ લાવવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તમાં અન્ય ચાર દર્દી પણ ખાનગી વાહનમાં હોસ્પિટલ આવ્યા હતા. જોકે તેઓ વડોદરાના રહેવાસી હોવાથી ત્યાં સારવાર કરાવવી હોવાથી પ્રાથમિક સારવાર લઈ વડોદરા જવા રવાના થઈ ગયા હતા. મણીનગરની એલજી હોસ્પિટલમાં કુલ 8 લોકો સારવાર લેવા માટે આવ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય જઙ ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે હાઈવે પર પટેલ ટ્રાવેલ્સની બસ અને કિયા કારના ચાલક વચ્ચે અકસ્માત થયો હતો.અકસ્માત થતા બસ ચાલક અને કિયા કારના ચાલક રસ્તા પર ઊભા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે બસને ટક્કર મારી હતી. બસને ટક્કર વાગતા પાછળની સીટમાં બેઠેલા 3 મુસાફરોના મોત થયા છે. કેટલાક ઇજાગ્રસ્ત છે જે સારવાર હેઠળ છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દસ્ક્રોઇ તાલુકાના રાસકા નજીક આ ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતનો મેસેજ મળતાની સાથે જ કણભા અને વિવેકાનંદનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા 8 એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે અકસ્માતના કારણે એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રાફિકજામ થયો હતો. જેથી એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકી નહોતી. 3 દર્દીઓને 108 મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. અન્ય ઇજાગ્રસ્તો તાત્કાલિક સારવાર લેવી જરૂૂરી હોવાથી ખાનગી વાહનોને રોકીને અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લેવા માટે જતા રહ્યા હતા.
