અઢી મહિનામાં ચાર ચીલઝડપ કરનાર ત્રિપુટી ઝડપાઈ
શોખ ખાતર ચીલઝડપ કરનાર કુખ્યાત શખ્સે બે મિત્રોની મદદથથી ગુનાને અંજામ આપ્યા
શહેરમાં છેલ્લા અઢી મહિનામાં અલગ અલગ ચાર સ્થળોએ થયેલી ચીલ ઝડપનો ભેદ એલસીબી ઝોન-2ની ટીમે ઉકેલી નાખી ટાબરીયા સહિત ત્રણની ધરપકડ કરી રૂા.4.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. છેલ્લા અઢી મહિનામાં શહેરમાં આતંક મચાવનાર સમળી ગેંગને અંતે સકંજામાં લીધી છે.
શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચીલઝડપના બનાવો બન્યા હોય જેમાં ગત તા.12-5નાં રોજ શિતલ પાર્ક ટોઈંગ સ્ટેશન પાછળ ભોમેશ્ર્વર સોસાયટી નજીક એકટીવા લઈને જતાં મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલ ઝડપ થઈ હતી. તેમજ 15-5નાં રોજ કાલાવડ રોડ અંડરબ્રીજ નજીક મહિલાના ગળામાંથી સોનાનો ચેઈન આંચકી 3 શખ્સો ફરાર થઈ ગયા હોય આ અંગે સીસીટીવી ફુટેજના આધારે ઝોન-2 એલસીબીની ટીમે એરપોર્ટની દિવાલ પાસેથી નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે ત્રણને ઝડપી લીધા હતાં. જેમાં ભગવતીપરા મેઈન રોડ પર જયપ્રકાશનગરમાં રહેતો સદામ યાસીમ કુરેશી (ઉ.26) સાથે પાંજરાપોળ શ્રીરાધેશ્યામ ડેરી ફાર્મ પાસે રહેતો વિક્રમ લાલજી માનસુરીયા અને એક બાળ આરોપી હોવાનું સામે આવ્યું હતું.
પકડાયેલ સદામ વિરૂધ્ધ દુષ્કર્મ સહિતના ત્રણ ગુના નોંધાયેલા છે. સદામે શોખ ખાતર અને આર્થિક સંકડામણ દૂર કરવા તેના સાથે વિક્રમ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ આરોપીને મદદમાં લીધા હતાં. સદામ પોતે જ મોટર સાયકલ લઈને બન્ને સાગ્રીતો સાથે ચીલઝડપ કરવા નીકળતો હતો અને મોટી ઉંમરના મહિલાઓને જ નિશાન બનાવતો હતો. આ ત્રિપુટી પાસેથી ત્રણ સોનાના ચેઈન અને એક સોનાના ઢાળીયો અને મોટર સાયકલ સહિત રૂા.4.61 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્રિપુટીની ધરપકડ બાદ કુવાડવા રોડ, ભક્તિનગર, ગાંધીગ્રામ અને માલવીયાનગરમાં થયેલ ચીલ ઝડપના ભેદ ઉકેલાયા છે.
ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની સુચનાથી એલસીબી ઝોન-2ના ઈન્ચાર્જ પીએસઆઈ જે.વી.ગોહિલ સાથે રાજેશભાઈ મિયાત્રા, રાહુલભાઈ ગોહેલ, હેમેન્દ્રભાઈ વાઘિયા, શક્તિસિંહ ગોહિલ, ધર્મરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ રાણા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
સોની વેપારીને બચાવવા કારસો, ઢાળીયો કયાં બનાવ્યો તે અંગે અજાણ
અઢી મહિનામાં ચાર સ્થળે ચીલઝડપ કરનાર સમડી ગેંગને ઝડપી લઈ તેની પાસેથી 20 ગ્રામ, 10 ગ્રામ અને 18 ગ્રામના ત્રણ સોનાના ચેઈન તેમજ એક સોનાનો ઢાળીયો મળી રૂા.4.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોય જેમાં સોનાનો ઢાળીયો બનાવનાર સોની વેપારી કોણ ? તે અંગે હજુ સુધી પોલીસ કોઈ માહિતી મેળવી શકી નથી. આ મામલે પોલીસે સદામે આ સોનાનો ઢાળીયો કયા સોની વેપારી? પાસે બનાવ્યો તેની માહિતી પોલીસ મેળવી શકી નથી કે પછી સોની વેપારીને બચાવવા માટેનો કારસો હોય તેમ સોની વેપારીનું નામ પોલીસે જાહેર કર્યું નથી. ત્યારે આ મામલે હવે આગામી દિવસોમાં સોની વેપારી સામે ગુનો નોંધાશે કે કેમ ? તે જાવાનું રહ્યું.