રામકૃષ્ણનગરમાં બાઇક થાંભલામાં ઘૂસી જતા એકના એક પુત્રનું કરુણ મૃત્યુ
શહેરના રામકૃષ્ણનગરમાં થાંભલામાં બાઇક ઘૂસી જતાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા પરિવારના એકના એક યુવાન પુત્રનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. પિતાની નોકરી ઉપર મૂકી જતો હતો ત્યારે કોઇ કારણસર બાઇક થાંભલા સાથે ટકરાયું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે મણીનગરમાં રહેતો પાર્થ મુકેશભાઇ આચાર્યા (ઉવ.21) નામનો યુવાન ગઇ કાલે રાત્રે 11 વાગ્યે બાઇક લઇને જતો હતો ત્યારે રામકૃષ્ણનગર શેરી નં.10માં પહોંચતા કોઇ કારણસર હેન્ડલ પરથી કાબૂ ગુમાવતા બાઇક થાંભલામાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પાર્થને ગંભીર ઇજા થતા 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું આ અંગે એ-ડીવીઝન પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક પાર્થ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને કર્મકાંડનું કામ કરતો હતો. તેના પિતા વિદ્યાનગર રોડ પર ગોકુલ હોસ્પિટલમાં નાઇટ ડ્યુટીમાં ચોકીદાર તરીકે નોકરી કરતા હોય ગઇકાલે રાત્રે પાર્થ તેના પિતાને નોકરી ઉપર મૂકી બાઇક લઇ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. એકના એક પુત્રના મૃત્યુથી પરિવારમાં ભારે ગમગીની છવાઇ જવા પામી છે.