સ્કૂલ વાનચાલકો સામે ટ્રાફિક અને આરટીઓ ફરી ધોંસ બોલાવશે
શાળાઓમાં પરીક્ષા બાદ દિવાળી વેકેશનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે ટ્રાફિક અને આરટીઓ દ્વારા સ્કુલવાન ચાલકો સામે ઝુંબેશ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના નિયમનો ઉલાળીયો થતો હોવાની ફરીથી ફરીયાદો ઉઠતા તંત્ર હરકતમાં આવ્યું છે.
આગામી દિવસોમાં પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા સ્કૂલ વાન ચાલકો સામે ખાસ ઝૂંબેશ શરૃ કરવામાં આવશે. તે અગાઉ પોલીસ દ્વારા વાન ચાલકો સાથે મિટિંગ કરવામાં આવી હતી.
સ્કૂલ વાન સંદર્ભેે ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ.ની ટીમ દ્વારા સંયુક્તપણે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. આ અંગે સ્કૂલ વાન ચાલકો સાથે પોલીસ અધિકારીઓ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 થી વધુ સ્કૂલ વાન ચાલકો, શાળા સંચાલકો અને વાલીઓ હાજર રહ્યા હતા. જેમાં બાળકોની સુરક્ષા અંગે જરૂરી સૂચના આપવામાં આવી હતી. પેસેન્જર પાસિંગવાળા વાહનોમાં જ બાળકોને બેસાડવા માટે જણાવવામાં આવ્યું હતું. તેમજ બાળકોને નિયત કરેલી મર્યાદામાં જ બેસાડવાના રહેશે.