તુર્કી અને અઝરબૈજાનનો પ્રવાસન ઉદ્યોગ દ્વારા બહિષ્કાર
પાકિસ્તાનને ટેકો આપવાનું બન્ને મુસ્લિમ રાષ્ટ્રોને મોઘું પડ્યું, બુકિંગ ધડાધડ રદ, નવા બુકિંગ નહીં લેવાનો ટૂર ઓપરેટરો દ્વારા નિર્ધાર
તુર્કીને વર્ષે 3 લાખ, અજરબૈજાનને વાર્ષિક 2.25 લાખ પ્રવાસીઓનો ફટકો, ભારતીય પ્રવાસન ઉદ્યોગે સ્વૈચ્છીક લડત શરૂ કરી
પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનને ટેકો આપવા બદલ ગુજરાતમાં તુર્કી અને અઝરબૈજાનનો ખુલ્લેઆમ બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગુજરાતના ટુર ઓપરેટરોએ બંને દેશોના પ્રવાસીઓ પાસેથી બુકિંગ ન લેવાનો નિર્ણય લીધો છે. પાછલા વર્ષોમાં, ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં ગયા હતા. પરંતુ પાકિસ્તાનને ટેકો આપ્યા બાદ તુર્કીનો બહિષ્કાર કરાયો છે.
ગુજરાતના ટુર ઓપરેટરોએ તુર્કી તેમજ અઝરબૈજાનનો બહિષ્કાર કર્યો છે. ગુજરાતના ટૂર ઓપરેટર્સ એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ અઝરબૈજાન અને તુર્કી (તુર્કી) પાસેથી બુકિંગ લેશે નહીં. કારણ કે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારત દ્વારા શરૂૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન આ બંને દેશોએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. તુર્કીનું કમાન હાલમાં રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના હાથમાં છે.
ભારતમાં 2024 માં 3 લાખથી વધુ લોકોએ તુર્કી બાકુનો પ્રવાસ કર્યો હતો. જયારે વર્ષ 2024 માં ભારતના 2.75 લાખ લોકોએ તુર્કીનો પ્રવાસ કર્યો હતો. આજ રીતે 2.25 લાખ લોકોએ અઝરબૈજાન દેશનો પ્રવાસ કર્યો હતો અને કરોડો રૂપિયાનું હુંડીયામણ વાપર્યુ હતુ.
ભારત પાકિસ્તાન યુદ્ધને લઇ અનેક ટૂર સંચાલકોએ પાકિસ્તાનને ટેકો આપતા અઝરબૈજાન અને તુર્કીના ટૂર પેકેજ બોયકોટ કર્યા છે. આ વિશે ટુર ઓપરેટર સતીષ વઘાસીયાએ જણાવ્યું કે, સુરતમાં અનેક ટુર્સ સંચાલકોએ સ્વેચ્છિક બંને દેશોના ટુર બોયકોટ કર્યા છે. અઝરબૈજાનઅને તુર્કીના ટુર પેકેજ બુક નહીં કરવા અનેક ટૂર સંચાલકોએ નિર્ણય ક્રયો છે. સંચાલકો તુર્કી અને અઝરબૈજાન જેવા અન્ય પ્રવાસી સ્થળો પર લોકોને પ્રવાસ માટે સમજાવી રહ્યા છે. આ બંને દેશોની સરખામણી જેવા જ અનેક એવા પ્રવાસી સ્થળો છે. બીજા દેશ કરતા ભારતમાં લોકો ફરવા જાય તેવી અપીલ કરવામાં આવે છે.
ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ ઓપરેશન સિંદૂર દરમિયાન નિયમિત બ્રીફિંગ આપતા કહ્યું હતું કે, પાકિસ્તાને ભારત સામે તુર્કી ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, અઝરબૈજાન અને તુર્કી બંનેએ ભારતના હિતોની વિરુદ્ધ જઈને પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપવાની જાહેરાત કરી હતી. તાજેતરના વર્ષોમાં, ગુજરાતના હજારો પ્રવાસીઓ અઝરબૈજાનના બાકુ અને તુર્કીની મુલાકાત પ્રવાસીઓ તરીકે લઈ આવ્યા છે. તુર્કીમાં ગુજરાતી પ્રવાસીઓની સંખ્યા એટલી વધારે છે કે તાજેતરના વર્ષોમાં તુર્કીએ અમદાવાદમાં રોડ શોનું આયોજન કર્યું હતું.
છેલ્લા કેટલાક વર્ષોમાં બાકુમાં ગુજરાતી પ્રવાસીઓનો પ્રવાહ એટલો વધ્યો છે કે અઝરબૈજાન એરલાઇન્સે તાજેતરમાં અમદાવાદ અને બાકુ વચ્ચે સીધી હવાઈ જોડાણ સેવા શરૂૂ કરવાની જાહેરાત કરી છે. દરમિયાન, ગુજરાતના ટુર ઓપરેટરોએ બુકિંગ ન લેવાનો નિર્ણય લીધો છે.
ટુર ઓપરેટર એન્ડ ટ્રાવેલ એજન્ટ એસોસિયેશન ઓફ ગુજરાતના મુજાલ ફિટરે જણાવ્યું કે, ટુર ઓપરેટરોને ઉનાળુ વેકેશન સીઝન માથે પડી છે. ગુજરાતના ટુર ઓપરેટરો અને પ્રવાસનને અંદાજે 500 કરોડથી વધારેનું નુકસાન થયું છે. હોટલ અને રિસોર્ટમાં ખાસ ડિસ્કાઉન્ટ હોવા છતાં ખાલી રહેતાં માલિકોને આર્થિક નુકસાની થઈ છે. ગુજરાતના હોટલ અને રીસોર્ટના 60 ટકા બુકીંગ કેન્સલ થયા છે. જુલાઇમાં શરુ થનારી અમરનાથ યાત્રામાં પ્રવાસી શ્રદ્ધાળુઓ ઘટવાની વકી છે.
તુર્કીના સફરજનનો પણ બહિષ્કાર, વાર્ષિક રૂા.1 હજાર કરોડનો ફટકો
ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના તણાવ અને તુર્કી દ્વારા ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યા બાદ, તુર્કી પર પ્રતિબંધ અભિયાન દેશભરમાં ઝડપથી ફેલાઈ રહી છે. આ ક્રમમાં, મહારાષ્ટ્રના પુણે શહેરના વેપારીઓએ તુર્કીથી આયાત કરાયેલા સફરજનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયની અસર બજારમાં તરત જ દેખાવા લાગી અને હવે પુણેના બજારોમાંથી તુર્કી સફરજન ગાયબ થઈ ગયા છે. અહેવાલ મુજબ, પુણેના ફળ બજારમાં તુર્કી સફરજનનો વાર્ષિક વ્યવસાય લગભગ 1,000 થી 1,200 કરોડ રૂૂપિયાનો હતો. પરંતુ હવે વેપારીઓએ આ આવક કરતાં દેશના સન્માનને વધુ પ્રાથમિકતા આપી છે. ફળના વેપારી સયોગ ઝેન્ડેએ કહ્યું, અમે તુર્કીથી સફરજન ખરીદવાનું બંધ કરી દીધું છે અને હવે હિમાચલ, ઉત્તરાખંડ, ઈરાન જેવા સ્થળોએથી સફરજન મેળવી રહ્યા છીએ. આ ફક્ત વ્યવસાયનો પ્રશ્ન નથી પણ દેશભક્તિનો પ્રશ્ન છે.આ ઝુંબેશને માત્ર વેપારીઓનો ટેકો મળ્યો નથી, પરંતુ સ્થાનિક ગ્રાહકોએ પણ આ બહિષ્કાર અપનાવ્યો છે.
ઘરેલુ પ્રવાસન ઉદ્યોગને પણ માઠી અસર, ઉનાળું સિઝનમાં 500 કરોડનો ફટકો
ભારત-પાક યુદ્ધ સ્થિતિના કારણે પ્રવાસન ઉદ્યોગ પર અસર જોવા મળી છે. ઉત્તર ભારત પ્રવાસ માટે જનાર પ્રવાસીઓ ટુર રદ્દ કરાવી રહ્યા છે. હિમાચલ પ્રદેશ જનાર 30 ટકા, ઉત્તરાખંડ અને સિક્કિમ, રાજસ્થાન બોર્ડર અરુણાચલના 15 ટકા પ્રવાસો રદ્દ થવાની સ્થિતિએ છે. પહેલગામ ઘટના બાદ કાશ્મીર ટુરને પહેલા જ ફટકો પડી ચૂક્યો છે. પરંતું હવે લદ્દાખ, ચંદીગઢ સહિતના સરહદી વિસ્તારના એરપોર્ટ બંધ થતા પ્રવાસીઓ ટુર રદ્દ કરી રહ્યા છે. યુદ્ધની સ્થિતિમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ ડરી રહ્યા હોવાથી પ્રવાસ કેન્સલ કરાવી રહ્યા છે. લોકો એર ફેર જતું કરીને પણ પ્રવાસ રદ્દ કરાવી રહ્યાં છે.