જૂનાગઢમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર
જૂનાગઢ જિલ્લામાં ગત બપોર બાદ ગાજવીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ખેડૂતોની ખેતપેદાશોને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને ઉનાળુ પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અનેક લોકોના લગ્ન સહિત અન્ય પ્રસંગોમાં પણ વરસાદ વિધ્નરૂૂપ બન્યો હતો.
વરસાદના આંકડા જોઈએ તો, ગત વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે 2 વાગ્યા બાદ અચાનક વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં જૂનાગઢમાં દોઢ ઈંચ, ગિરનાર પર્વત પર સાડા 3 ઈંચ, ભેંસાણમાં 2 ઈંચ, વંથલી અને મેંદરડામાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે. અચાનક ખાબકેલા વરસાદના પગલે જનજીવન પર પણ વ્યાપક અસર જોવા મળી હતી. જૂનાગઢમાં ખાબકેલા ભારે વરસાદથી નીચાણવાસમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક સોસાયટીના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા.
ભારે વરસાદના પગલે જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ નજીક આવેલ ઓઝત વિયર આણંદપુર જળાશયમાં પાણીની આવક થતાં ડેમ હાલ ડિઝાઈન સ્ટોરેજના 100 ટકા ભરાઈ ગયો છે. આથી સરકાર દ્વારા નીચવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢ તાલુકાના આણંદપુર, વંથલી તાલુકાના રાયપુર, સુખપુર અને મેંદરડા તાલુકાના ગામોને એલર્ટ કરવા સાથે નદીના પટમાં અવરજવર પર રોક લગાવવામાં આવી છે.
આ સિવાય સૌરાષ્ટ્રના અન્ય તાલુકા, જેમ કે ધોરાજીમાં 35 મિ.મી, જામજોધપુરમાં 29 મિ.મી. અમરેલીના બગસરામાં 26 મિ.મી, જામકંડોરણામાં 21 મિમી, ઉપલેટામાં 20 મિમી અને જેતપુરના 19 મિ.મી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે, જેના પગલે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
જૂનાગઢનો ઓઝત વિયર આણંદપુર ડેમ ઓવરફ્લો
જૂનાગઢનો ઓઝત વિયર આણંદપુર ડેમ ઓવરફલો થયો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે, ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તો લોકો ડેમમમાં ન્હાવા ના પડે તેવી તંત્રએ અપીલ કરી છે, તો બીજી તરફ ફાયર વિભાગની એક ટીમ પણ ડેમ પાસે સ્ટેન્ડબાય રાખવામાં આવી રહી છે, લોકો ડેમમાં પાણી જોવા ઉમટી રહ્યાં છે. વંથલી તાલુકાના રાયપુર અને સુખપુર તેમજ મેંદરડા તાલુકાના નાગલપુર ગામને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. સાથે નદીના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના અપાઇ છે.