દ્વારકાધીશ મંદિર આસપાસ તમાકુના ઉત્પાદનો પર પ્રતિબંધ
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર આવતા યાત્રાળુઓના આરોગ્ય પર તમાકુયુક્ત નશીલા પદાર્થોના વેચાણના કારણે અપ્રત્યક્ષ અસર થતી જોવા મળે છે. આ નશીલા પદાર્થોનું સેવન કરતા લોકો દ્વારા પાન-મસાલા, તમાકુ, ગુટકાનું સેવન કરી મંદિર પરિસર તથા તેના આજુબાજુના વિસ્તારોમાં થુંકીને ગંદકી ફેલાવાનું ધ્યાને આવતાં તેને કારણે નાયબ કલેકટર અને દ્વારકાધીશ મંદિર વહીવટદારની દરખાસ્ત અન્વયે અહીંના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં દ્વારકાધીશ મંદિરની 100 મીટરની ત્રિજ્યા સુધીના વિસ્તારમાં પાન-મસાલા, તંબાકુ, ગૂટખા, સિગારેટ વગેરેના વેંચાણ, ખરીદી અને સેવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
મંદિર આસપાસ ભિક્ષુકો તથા ફેરિયાઓ પર પ્રતિબંધ
દ્વારકાના દ્વારકાધીશ મંદિર ખાતે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શાનાર્થે પધારતાં હોય છે, જે ધ્યાને લઈને મંદિરની આસપાસના વિસ્તારમાં ભિક્ષુકો તથા ફેરિયાઓના કારણે ભાવિકોને અવરજવર કરવામાં મુશ્કેલી, ભક્તિમય વાતાવરણમાં વિક્ષેપ, સુરક્ષા વ્યવસ્થામાં ખલેલ, ટ્રાફિક તથા વ્યવસ્થાપન સંબંધિત સમસ્યાઓ ઊભી ન થાય તે માટે અને ફેરિયાઓ અને ભિક્ષુકોની આડમાં ચોરી અને લુંટ થતી રોકવા અર્થે દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા મંદિરની આસપાસ ભિક્ષુકો તથા ફરતા ફેરીયાઓ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ અન્વયે જિલ્લાના પોલીસ અધિક્ષક તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના હકારાત્મક અભિપ્રાયને ધ્યાનમાં લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં દ્વારકાધીશ મંદિરની 100 મીટરની ત્રિજ્યામાં ભિક્ષુકો તથા ફરતા ફેરિયાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
