મોરબીમાં ગૃહકલેશથી કંટાળી શ્રમિક મહિલાએ ઘર છોડયું
ટીમ અભયમે પરિણીતાનું પતિ સાથે પુન:મિલન કરાવતા પરિવારનો માળો વેર-વિખેર થતા બચી ગયો
મોરબીમાં પેટીઓ રડવા આવેલા શ્રમિક દંપતિ વચ્ચે ઝઘડો થતા પરિણીતાએ ઘર છોડ્યું હતું પરંતુ ઘરેથી નીકળી ગયેલી પરિણીતાનું ટીમ અભયમે પતિ સાથે પુન:મિલન કરાવતા પરિવારનો માળો વેરવિખેર થતા બચી ગયો હતો.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં એક મહિલા રાતભર રસ્તા પર રઝળી રહી હોવાની જાગૃત દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મહિલા માટે મદદ માંગી હતી. જાણ થતાની સાથે સાથે જ મોરબી ખાતે કાર્યરત ટીમ અભયમના કાઉન્સેલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ જયશ્રીબેન અને પાયલોટ જીગરભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જ્યાં મહિલાનું કાઉન્સેલિંગ કરતા મહિલા મૂળ ઓડીશાની વતની અને છેલ્લા છએક માસથી પતિ સાથે મોરબીમાં કંપનીમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
વધુ પૂછપરછમાં પતિ સાથે ઝઘડો થતાં ઘરેથી નીકળી ગઇ હોવાનું જણાવ્યું હતું. જેથી 181 મહિલા હેલ્પલાઇનની ટીમે મહિલાએ આપેલા સરનામે તેણીને પતિ પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં દંપતિનું કાઉન્સેલિંગ કરી સલાહ સૂચન અને માર્ગદર્શન આપી દંપતિનું પુન:મિલન કરાવ્યું હતું. ટીમ અભયમના સફળ કાઉન્સેલિંગથી પરિવારનો માળો વેર વિખેર થતા બચી ગયો હતો. જેથી દંપતીએ ટીમ અભયમનો આભાર વ્યક્ત કર્યો હતો.