For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જુગારી પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી પતિનો આપઘાત

06:54 PM Feb 05, 2024 IST | Bhumika
જુગારી પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી પતિનો આપઘાત

Advertisement

‘તુ મરી જા, તારા મરવાથી અમને કંઇ ફરક પડવાનો નથી, તારે પૈસા તો આપવા જ પડશે’, કહી છૂટાછેડા માટે રૂા.5 લાખ માગી પોલીસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપતા ફાંસો ખાઇ લીધો

શહેરની ભાગોળે બામણબોરમાં નવાપરામાં જુગારી પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી પતિએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. છુટાછેડા માટે પણ રૂા.5 લાખની માંગણી કરી પોલીસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપતા જીવન ટૂંકાવી લીધુ હતું. આ અંગે પોલીસે આપઘાતની ફરજ પાડયાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ બામણબોરમાં નવાપરામાં રહેતા સંજય લક્ષ્મણભાઇ બાવળીયા (ઉવ.30)નામના યુવાને ગઇ કાલે સાંજે પોતાના ઘરે છતના હૂકમાં પ્લાસ્ટીકની દોરી બાંધી ગળેફાંસો ખાઇ લેતા તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ જાહેર કરતા પરિવાર ગમગીની છવાઇ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મૃતક સંજય બે ભાઇ એક બહેનમાં નાનો અને રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં મજૂરી કામ કરતો હતો. તેના લગ્ન હજુ એક વર્ષ પહેલા જ કોઠારીયા સોલવન્ટમાં રહેતી દિનેશભાઇ પંચાળાની પુત્રી પલ્લવી સાથે થયા હતા. તા.22ના લગ્નની પહેલી વર્ષગાંઠ પહેલા જ તેને આ પગલુ ભરી લીધું હતું.

આ અંગે શ્રમીકના ભાઇ વિજય લક્ષ્મણભાઇ બાવળીયાની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે મૃતકની પત્ની પલ્લવી અને સાસુ મધુબેન દિનેશભાઇ પંચાળા વિરૂદ્ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેનો ભાઇ સંજય કહેતો કે પત્ની પલ્લવી અને સાસુ મધુબેનને જુગાર રમવાની ટેવ છે, હુ જે કમાવ છુ તે પૈસા પત્ની સાસુના કહેવાથી લઇ લે છે. અને ખોટા ખર્ચાઓ તથા જુગારમાં પૈસા ઉડાડી દે છે તથા પૈસા ન આપુ તો ધમકીએ પાડી ઝઘડા કરે છે. તેઓ કહેતા કે ‘તુ મરી જા, તારા મરવાથી અમોને કંઇ ફરક પડતો નથી, તારે પૈસા તો આપવા જ પડશે.

અઠવાડિયા પહેલા પલ્લવી અને તેની માતા મધુબેને ઘરે આવી સંજય સાથે પૈસા આપવા બાબેત ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ સંજય પલ્લવીને તેડવા માટે ફોન કરતા પલ્લવી અને તેની માતાએ ‘અમારે છૂટાછેડા લઇ લેવા છે, તમારે પાંચ લાખ આપવા પડશે. નહીંતર બધાને પોલીસમાં ફીટ કરાવી દઇશ તેવી ધમકી આપતા સંજયે પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી આ પગલુ ભરી લીધુ હતુ. આ અંગે એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ એ.કે.ગોસ્વામીએ પત્ની અને સાસુ વિરૂદ્ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement