કાલાવડના ડુંગરાળી દેવળિયા ગામે વીજ શોકથી દંપતિ સહિત ત્રણના મોત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળીયા ગામમાં એક વાડીમાં કામ કરી રહેલા ખેડૂત દંપતિ અને એક શ્રમિક યુવાન ને વીજ આંચકો લાગ્યો હતો, અને ત્રણેયના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા, જેથી ભારે અરેરાટી પ્રસરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસની ટુકડી દોડતી થઈ છે.
આ કરુણા જનક બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળીયા ગામમાં રહેતા રવજીભાઈ જેસાભાઈ રોલા (પટેલ) નામના 67 વર્ષના ખેડૂત બુઝુર્ગ અને તેમના પત્ની સવિતાબેન પટેલ (ઉંમર વર્ષ 63) કે જેઓ પોતાની વાડીના તબેલામાં કામ કરી રહ્યા હતા. તેઓની સાથે વાડીમાં જ કામ કરતો બુધાભાઈ ધીરુભાઈ વાજેડીયા નામનો 28 વર્ષનો દેવીપુજક શ્રમિક પણ તબેલામાં કામમાં સાથે જોડાયો હતો.
જે દરમિયાન ઈલેક્ટ્રીક વાયરમાંથી ત્રણેયને એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને ત્રણેયના બનાવના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યાં હતા.આ ગોઝારા બનાવની જાણ થતાં કાલાવડ ગ્રામ્યના પી.આઇ. આર.બી. ઠાકોર પોલીસ ટુકડી સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને ત્રણેય ના મૃતદેહોનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈને ડુંગરાળી દેવળીયા ગામમાં ભારે શોક નું મોઝું ફરી વળ્યું છે.
