અમદાવાદ એરપોર્ટમાં પોલંપોલ, દુબઇથી આવેલા ત્રણ શખ્સો 1.81 કરોડનું સોનું લઇ નીકળી ગયા!
દુબઈથી સોનાની તસ્કરી કરનારા 3 આરોપીઓની મંજુસર પોલીસે ધરપકડ કરીને 1.81 કરોડનો ગોલ્ડ પાવડર કબ્જે કર્યો હતો. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેના સાવલી કટ પાસે ઉતરવાના હોવાની બાતમી મળતા મંજુસર પોલીસે તસ્કરી કરીને આવનારા 2 વ્યક્તિઓ સાથે અશોક પ્રજાપતિની પણ ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી દારૂૂની બોટલો અને ઈ-સિગારેટનો જથ્થો પણ મળી આવ્યો હતો. જ્યારે આ સોનાની તસ્કરીમાં અમદાવાદનો યુવક પણ સામેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, અશોક રમણભાઈ પ્રજાપતિ નામનો વ્યક્તિ અલગ-અલગ વ્યક્તિઓને દુબઈ ખાતે મોકલી ભારતમાં કસ્ટમ એક્સાઈઝ ડ્યુટી ભરવી ન પડે તે માટે લગેજ બેગમાં ચોરી-છુપીથી સોનું સંતાડી ભારતમાં ઘુસાડીને સોનાની હેરા-ફેરી કરાવતો હતો. આ બાતમીને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે તમામને દુમાડ પોલીસ ચોકી લાવીને તેમની બેગોની ચકાસણી કરતા તેમાંથી વિદેશી દારૂૂ, અલગ-અલગ બ્રાંન્ડની ઈલેક્ટ્રીક સિગારેટ અને મોજામાંથી 1 કિલો 800 ગ્રામ સોનાનો પાવડર ઉપરાંત લેપટોપ, કપડા અને ચોકલેટ, ખજુર, કાજુ સહિત અન્ય મળી આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ મોજામાં એડીના ભાગે નાનું ખાનું બનાવીને ત્યાં મુલતાની ચીકણી માટીમાં ગોલ્ડ પાવડર મીક્ષ કરીને પ્લાસ્ટીકમાં વિટાળીને તેમાં છુપાવ્યું હતું. જ્યારે આ 1 કિલો 800 ગ્રામનું ગોલ્ડ પાવડરની બજાર કિંમત 1.81 કરોડ થાય છે. જો કે લિક્વિડ સોનું એરપોર્ટના મેટલ ડિટેક્ટરમાં પકડાયું ન હતું. તે પણ શંકાનો વિષય છે. આ ઉપરાંત દારૂની બોટલો અને ઇસિગારેટનો જથ્થો પણ એરપોર્ટમાંથી સાંગોપાંગ બહાર કેવી રીતે નીકળી ગયો તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.