For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકાર સામે લડવામાં ડર લાગતો હોય તે રજા લઇ લે: અમિત ચાવડા

12:23 PM Jul 23, 2025 IST | Bhumika
સરકાર સામે લડવામાં ડર લાગતો હોય તે રજા લઇ લે  અમિત ચાવડા

ગુજરાત કોંગ્રેસના પ્રમુખનો ચાર્જ સંભાળતા જ ખોંખારો, સરકારી કૌભાંડો-લોકોના પ્રશ્ર્નોને લઇને આક્રમક લડાઇનું એલાન

Advertisement

મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પૂરવા હાઇકમાન્ડે મોરચો સંભાળ્યો છે, ત્યારે શક્તિસિંહ ગોહિલની વિદાય બાદ ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાએ સંભાળી લીધી છે. પદગ્રહણ સમારોહમાં પદભાર સંભાળતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જેને સરકાર સામે લડત લડવામાં ડર લાગતો હોય તે ખુશીથી રજા લઇ લે તો વધુ ગમશે. ગુજરાત કોંગ્રેસનું સુકાન સંભાળ્યા પછી હવે મહા નગર પાલિકા સહિત સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જીતવી એ કોંગ્રેસ માટે પડકારરૂૂપ છે. જોકે, અમિત ચાવડાએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે, જો વિપક્ષ તરીકે અસરકારક ભૂમિકા ભજવવામાં કોઈ કચાશ નહીં રાખીએ અને લોકોના પ્રશ્નો માટે છેક સુધી લડીશું તો વર્ષ 2028માં ગુજરાતની જનતા ગાંધીનગરના સિંહાસને જરૂૂર બેસાડશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પાસે આયોજીત પદગ્રહણ સમારોહમાં અમિત ચાવડાએ સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, ગુજરાતમાં ખોટી રીતે જમીન માપણીનો પ્રશ્ન હોય, મનરેગામાં ભાજપના મંત્રીપુત્રોનું કરોડોનું કૌભાંડ હોય, પશુપાલકોનો પ્રશ્ન હોય આ તમામ માટે કોંગ્રેસ આક્રમકતા સાથે લોકોના પ્રશ્નોને લઈને લડત લડશે. બેરોજગારી ઉપરાંત આદિવાસીઓની જમીનના હક માટે લડીશું, વસ્તીના પ્રમાણમાં બજેટની ફાળવણી થવી જોઈએ. આજે માત્ર વાતો કરીને છૂટા પડવાનું નથી પરંતુ, કોંગ્રેસના ઇરાદાઓને ઘર ઘર સુધી પહોંચાડવા સંકલ્પ લેવો પડશે. ભૂતકાળમાં જે ભૂલો થઈ છે તે સુધારવાનો પ્રયત્ન કરીશું.

Advertisement

સાંસદ ગેનીબેન ઠાકોરે એવી કડવી ટકોર કરી કે, હવે સંગઠનમાં વધુ કડકાઈ દાખવી કામ કરવાની જરૂૂર છે. બીમાર હોય તો કડવી દવા જ અસરકારક હોય છે. કોંગ્રેસના દરેક કાર્યકર નક્કી કરે કે, આપણે 12 બેઠકોમાંથી 121 બેઠકો સુધી પહોંચવા પ્રયાસ કરીશું. આ એ જ કોંગ્રેસ છે જેણે મને પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચાડી છે. પદગ્રહણ સમારોહમાં પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ કાર્યકરોને ટોણો માર્યો કે, સલાહ નહીં, હવે સહકાર આપો. અમે તો હારની જવાબદારી સ્વીકારી રાજીનામા ધરી દીધાં પણ કાર્યકરો તમે તો જવાબદારી સ્વીકારો. વિધાનસભાની ચૂંટણીને આડે 100 અઠવાડિયા બાકી છે ત્યારે સંગઠનને મજબૂત કરી ચૂંટણી જીતવાના કામે લાગી જાઓ.

વિધાનસભા વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ એ વાતનો ઉલ્લેખ કર્યો કે, 12 કોંગ્રેસી સભ્યોએ વિધાનસભામાં 170 ભાજપી ધારાસભ્યો સામે લડત લડવાની છે ત્યારે પ્રત્યેક ધારાસભ્ય લોકહિતના પ્રશ્નો સામે અવાજ ઉઠાવવા સજ્જ છે. પ્રભારી મુકલ વાસનિકે પ્રમુખનો બચાવ કરતાં કહ્યું કે, ચૂંટણીમાં હારજીત માટે માત્ર પ્રમુખ જ જવાબદાર હોય એવુ ન હોય પ્રદેશ પ્રમુખનો તાજ તો કાંટાળો અને જવાબદારીથી ભરેલો હોય છે. હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ચૂંટણી લડવા તૈયાર થઈ જાઓ. ઉપનેતા શેલેષ પરમારે તો અદના કાર્યકર તરીકે કામ કરવા તૈયારી દર્શાવી હતી. નવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે પદભાર તો સંભાળી લીધો છે પણ હવે મિની વિધાનસભા સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સેમી ફાઇનલ જીતવી એક મોટો પડકાર છે.

Amit Chavdaગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના પદગ્રહણ સમારોહમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. જો કે, ભરતસિંહે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોના કારણે ગેરહાજર રહ્યાનો સંદેશો મોકલી નવા પ્રદેશ અધ્યક્ષને શુભેચ્છા પાઠવી હતી. પરંતુ અમિત ચાવડાની પસંદગીથી તેના એક સમયના નજીકના સાથી નેતા નારાજ હોવાનો ગણગણાટ જોવા મળ્યો હતો. ભરતસિંહ સોલંકી સિવાયના કોંગ્રેસના મોટાભાગના નેતાઓ હાજર રહ્યા હતા અને એકતાનો સંદેશો આપ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement