તંગી નહીં રહે, જળાશયોમાં 57 ટકાથી વધુ જળસંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 61 ટકાથી વધુ અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 44.44 ટકા પાણીનો જથ્થો
રાજ્યમાં આ વર્ષે ઉનાળામાં પાણીની કોઈ તંગી નહીં રહે તેવાં સારા સમાચાર છે.જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ માહિતી આપતાં જણાવ્યું છે કે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 57 ટકાથી વધારે જળ સંગ્રહ ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે આ જ જળાશયોમાં 50.84 ટકા જળ સંગ્રહ હતો. મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં 61.95 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 62 ટકાથી વધુ, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 56.21 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 44.44 ટકા, કચ્છના 20 જળાશયોમાં 41 ટકાથી વધુ અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 34.95 ટકા જળ સંગ્રહ છે.
કુંવરજીભાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે શરૂૂ કરેલા સુઝલામ સુફલામ્ જળ સંચય અભિયાન અને નલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક પ્રયાસોને કારણે ગુજરાત જળ વ્યવસ્થાપન ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નકેચ ધ રેઈનથના આહવાનને સાકાર કરવા માટે રાજ્યમાં ચાલી રહેલા નકેચ ધ રેઈન- સુજલામ સુફલામ જળ અભિયાન 2.0’નો પણ ઉલ્લેખ કર્યો હતો, જે 4 એપ્રિલથી 31 મે-2025 સુધી રાજ્યભરમાં ચાલશે. જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે મોરબી ખાતે આવેલું મચ્છુ-3 જળાશય હાલમાં પણ 100 ટકાથી વધુ ભરાયેલું છે.
આ ઉપરાંત, રાજ્યના 21 જળાશયો 70 થી 100 ટકા, 44 જળાશયો 50 થી 70 ટકાથી વધુ અને 74 જળાશયો 25 થી 50 ટકાની વચ્ચે ભરાયેલા છે. માત્ર 67 જળાશયો એવા છે જેમાં 25 ટકાથી ઓછો જળ સંગ્રહ ઉપલબ્ધ છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં 2,505 કયુસેક, વણાકબોરી ડેમમાં 3,700 કયુસેક અને કડાણા ડેમમાં 1,742 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લેતાં, ઉનાળા દરમિયાન રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરિકોની જરૂૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવશે તેમ મંત્રી એ ઉમેર્યું હતું.