બોઈંગ 787માં કોઈ ખામી ન હતી, ફ્યુઅલ સ્વીચ બગડતાં દુર્ઘટના સર્જાઈ
અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે વોલસ્ટ્રીટ જર્નલનો અહેવાલ, બન્ને એન્જિનની ફયુઅલ સ્વીચમાં હિલચાલનો બ્લેક બોકસમાંથી ડેટા મળ્યાનો દાવો
12 જૂનના રોજ 270 જેટલા મુસાફરોને ભરખી જનાર ગોઝારી પ્લેન દુર્ઘટનાનો પ્રારંભીક તપાસ અહેવાલ રજૂ થાય તે પહેલા જ અમેરિકાના અખબાર વોલસ્ટ્રીટ જર્નલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે બોઈંગ 747માં કોઈ ટેકનીકલ ખામી ન હતી. પરંતુ ફયુઅલ સ્વીચ બગડતાં એન્જીનમાં ઈંધણ પહોંચવાનું બંધ થઈ જતાં પ્લેન નીચે પડતા દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના બાદ મળી આવેલા બ્લેક બોકસમાં બન્ને એન્જીનની ફયુઅલ સ્વીચની પોજીશન પાયલોટ દ્વારા ચેન્જ કરવાનો પ્રયાસ કર્યા હોવાનું નોંધાયું છે. ફયુઅલ સ્વીચ બંધ થતાં ઈંધણ ન મળતાં એન્જીન થ્રસ્ટ (ઉપરની બાજુ ધક્કો) ઉત્પન્ન કરી શકયું નહી અને વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં મોટી જાનહાની સર્જાઈ હતી.
અમદાવાદ વિમાન દુર્ઘટનાની પ્રારંભિક તપાસમાં બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં અત્યાર સુધી કોઈ ટેકનિકલ ખામી બહાર આવી નથી. વોલ સ્ટ્રીટ જનરલે તેના અહેવાલમાં આ દાવો કર્યો છે.
અમેરિકન મીડિયા સંગઠન અનુસાર, વિમાનના બંને એન્જિનમાં ઇંધણ પુરવઠાને નિયંત્રિત કરતી સ્વીચો બંધ થઈ ગઈ હતી, જેના કારણે ટેકઓફ પછી તરત જ એન્જિનમાં પાવર (થ્રસ્ટ) ખોવાઈ ગયો હતો. સામાન્ય રીતે પાઇલોટ્સ કટોકટીમાં એન્જિન શરૂૂ કરવા, બંધ કરવા અથવા રીસેટ કરવા માટે આ સ્વીચોનો ઉપયોગ કરે છે.
દરમિયાન, અકસ્માતનો પ્રાથમિક તપાસ અહેવાલ આજે જાહેર કરી શકાય છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) આ મામલાની તપાસ કરી રહ્યું છે. નિયમો અનુસાર, અકસ્માતના 30 દિવસની અંદર રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે.
12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI171 ટેકઓફ કર્યા પછી તરત જ મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. આમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત 270 લોકો મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો.
એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 12 જૂનના રોજ બપોરે 1.38 વાગ્યે ઉડાન ભરી હતી અને અકસ્માત 1.40 વાગ્યે થયો હતો. તે સમયે વિમાન 200 ફૂટની ઊંચાઈ પર હતું. યુએસ એવિએશન વેબસાઇટ ધ એર કંટ્રોલના અહેવાલ મુજબ, બ્લેક બોક્સના પ્રારંભિક ડેટામાં બંને એન્જિનના ફ્યુઅલ સ્વીચની હિલચાલનો ખુલાસો થયો છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ હિલચાલ પાઇલટની ભૂલ, ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણસર થઈ છે.
ફયુઅલ સ્વીચ બગડતાં કોકપીટના ઘણા સાધનો કામ કરતાં બંધ થયા, ફરીથી એન્જિન સ્ટાર્ટ કરવાનો પાઇલટનો પ્રયાસ નાકામ નીવડયો
અમેરિકન એવિએશન સેફ્ટી એક્સપર્ટ જોન કોક્સના મતે, આ સ્વીચ એટલી સંવેદનશીલ નથી કે તેને આકસ્મિક રીતે સ્પર્શ કરીને સક્રિય કરી શકાય. તે ફક્ત જમીન પર જ ચાલુ/બંધ થાય છે. ડ્રીમલાઇનર એરક્રાફ્ટના બંને એન્જિનમાં રન અને કટઓફ નામની બે સ્થિતિઓ છે. જો વિમાન હવામાં હોય અને સ્વીચ કટઓફ પર જાય, તો એન્જિનને ઇંધણ મળતું બંધ થઈ જાય છે, જેના કારણે પાવર (થ્રસ્ટ) ગુમાવવો પડે છે અને પાવર સપ્લાય પણ બંધ થઈ શકે છે, જેના કારણે કોકપીટના ઘણા સાધનો પણ કામ કરવાનું બંધ કરી શકે છે.કેપ્ટન રાયે બોઇંગની માનક પ્રક્રિયા (SOP) નો ઉલ્લેખ કર્યો, જે જણાવે છે કે ડ્યુઅલ એન્જિન નિષ્ફળતાના કિસ્સામાં, પાઇલટે તાત્કાલિક પ્રતિક્રિયા આપવી પડે છે અને EEC બંને સ્વીચ ચાલુ અને બંધ કરીને રીસેટ કરવામાં આવે છે. આને વિન્ડમિલ સ્ટાર્ટ કહેવામાં આવે છે, જે એન્જિનને ફરીથી શરૂૂ કરી શકે છે. પરંતુ ડ્રીમલાઈનર એરક્રાફટમાં વિન્ડમીલ સ્ટાર્ટ થઈ શકયું નહીં જેથી 200 ફુટથી નીચે ખાબકતું વિમાન ફરીથી ઉપર ઉઠી શકયું નહીં.