‘રાજકારણમાં દલાલો વધી ગયા છે, ભાજપમાં છું કહે એટલે કામ થાય : નીતિન પટેલ
હોદ્દો મળવો એ મોટી વાત નથી, તેને સફળ બનાવવો જરૂરી : શૈક્ષણિક કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતાના સૂચક બોલ
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિનભાઈ પટેલે પાલિકા-પંચાયતોની ચૂંટણીના સમયે જ વધુ એક રાજકીય બોંબ ફોડી રાજકારણમાં હવે દલાલો વધી ગયાનું જણાવી કામો કરાવવા માટે લોકો ભાજપમાં જોડાતા હોવાનો આડકતરો ઈશારો કરતા ફરી એક વખત રાજકીય ક્ષેત્રમાં ચર્ચા જાગી છે.
કડી તાલુકાના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વપૂર્ણ નિવેદન કર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ગામડામાં કોઈ સામાન્ય રહ્યું જ નથી, અહીં બેઠેલા જે પણ વ્યક્તિ જોડે પાંચ વીઘા જમીન હોય તો 10 થી 15 કરોડના આસામી કહેવાય, પહેલા મહેનત કરીને આપવું પડતું હતું, અત્યારે ભગવાને એવું ગોઠવું છે કે, બધું ઓટોમેટીક જ વધી જાય, હું બધા બિલ્ડરો અને દલાલોને ઓળખું છું, જમીનોના દલાલો મોટર સાયકલ લઈને ફરે પાનના ગલ્લા ઉપર, મેઢા ચોકડી હોય, અમારા કડીનો કરણનગર રોડ હોય, બધા દલાલો હવે તો રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા, દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે,ઉમિયા માતાજીના આશીર્વાદ છે.
આ બધું જ જે શરૂૂ થયું તે આપણા બધાના સહયોગથી શરૂૂ થયું છે આપણે બધા આપણી સત્તા આવી, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, સરકારમાં અમે બધા બેઠા છીએ એટલે આ બધું કરી શકીએ છીએ એટલે કઈ જમીનોની દલાલી થી થયું નથી, આ બધું કરદા કરદી કરીને નથી થતું, અને લોકોનું કરી નાખીને નથી થયું, આ બધાના પ્રેમથી થયું છે. બધાનો પ્રેમ મળે તે જ સાચો નેતા કહેવાય, હોદ્દો મળેએ નહીં હોદ્દો તો અનામતના કારણે પણ મળે, હોદ્દા મળવા એ મોટી વાત નથી, પણ પોતાને સફળ બનાવો તેમ કંઈ દાખલો આપતા તેમને જણાવ્યું હતું કે,શિક્ષક નોકરી કરે, મામલતદાર, પીએસઆઇ સરકારી નોકરી કરે, એ તો કરે તેમને તો સરકારી પગાર લેવાનો છે, એ કંઈ નવી વાત નથી. આ કાર્યક્રમમાં ગ્રામજનો વિદ્યાર્થીઓ આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વધુ ટકાવારી ધરાવતાં વિદ્યાર્થીઓને એડમીશન ન મળતું હતું એટલે અનામત આંદોલન થયું હતું. જેને સરકારે સમજી મેડીકલ સીટો વધારી. હાલમાં ચારિત્ર્યની ખૂબ તકલીફ છે.90 ટકા લોકો લાલચું હોય છે.ગામડામાં સ્કૂલો ચલાવવી અઘરી છે.પરંતુ શિક્ષણ વિના નહી ચાલે,છોકરીઓ કેટલી જમીન છે એ નહીં પૂછે. ભારતના નાણાંમંત્રીએ બજેટ રજૂ કર્યું જેમાં મેડિકલ કોલેજોની 10 હજાર સીટો દર વર્ષે વધશે.અનામત આંદોલન કેમ થયું.90,92,95 ટકા લાવતા બીન અનામત વર્ગના વિધાર્થીઓને એડમીશન નહોતું મળતું એટલે વિદ્યાર્થી અને વાલીઓમાં અસંતોષ થતો હતો.એના કારણે આંદોલન થયું હતું.નરેન્દ્રભાઈ મોદી સરકારે મેડીકલની બેઠકો વધારી એટલે વિધાર્થીઓને હવે વિદેશમાં અભ્યાસ માટે નહીં જવું પડે તેમ જણાવ્યું હતું.