મોરબીના સ્મશાનમાં સળગાવાયેલો ઘઉંનો જથ્થો 7 વર્ષ જૂનો હોવાનું અનુમાન
મોરબી શહેરમાં ગઈકાલે 15 એપ્રિલના રોજ શ્રદ્ધા પાર્ક અને યમુના પાર્કની વચ્ચે આવેલા સ્મશાનમાંથી સડી ગયેલી હાલતમાં સરકારી અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે આજે બીજા દિવસે પણ મોરબીના અમરેલી ગામ પાસેથી સડી ગયેલો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો વર્ષ 2017-18નો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. અમરેલી ગામ પાસે આશરે 40 જેટલી ઘઉં અને ચોખાની બોરી મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.લોકોના મુખે જે અનાજ જવું જોઈએ તે આ રીતે જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવે છે. આ બાબતે અમે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં રજૂઆત કરીશું અને આ મામલે તટસ્થ તપાસ કરીને જે લોકો આ અનાજ ફેંકી ગયા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે.
અમરેલી ગામના રહેવાસી અશોકભાઈ ચારોલાએ જણાવ્યું કે, આ અનાજનો જથ્થો કાલે અહીંયા ન હતો પરંતુ આજે રાત્રિના સમયે કોઈ ફેંકી ગયું છે. ગઈકાલે આ જથ્થો અહીંયા હતો નહીં પરંતુ આજે આ જથ્થો જોવા મળ્યો હતો.