નવી કોર્ટમાં ટેબલનો મુદ્દો ફરી સળગ્યો, વકીલો અને જજો સામસામે
- વકીલોએ ટેબલ ગોઠવી દેતા જજે પોલીસ બોલાવી, બાર એસોસિએશનના હોદ્દેદારો અને સિનિયર વકીલો પડતર પ્રશ્નો મુદ્દે લડી લેવાના મૂડમાં
રાજકોટમાં નવનિર્મિત કોર્ટનું લોકાર્પણ થયા બાદ સતત વિવાદમાં રહેલા નવા કોર્ટ બિલ્ડીંગમાં ટેબલ રાખવાનો મુદ્દો ફરી ઉછળ્યો હોય તેમ વકીલો દ્વારા ટેબલ ગોઠવી દેવામાં આવતા ન્યાયાધીશો દ્વારા પોલીસને બોલાવવામાં આવતા વકીલો અને ન્યાયાધીશો આમને સામને આવી ગયા હતા. ન્યાયાધીશ દ્વારા વકીલ બોલાવવામાં આવતા વકીલોની ગરિમા લજવાય હોવાના મુદ્દે આજે સિનિયર વકીલો દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં વકીલોએ સત્તાધીશોનું નાક કાપ્યું હોય તેમ ઉભા ઉભા જનરલ બોર્ડ યોજી પેન્ડીંગ પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચર્ચા કરી હતી અને જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી 4 માર્ચના રોજ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી એક દિવસની હડતાલ ઉપર ઉતરવાની અને આગામી 9 માર્ચના રોજ યોજાનારી લોક અદાલતનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે વકીલોએ ઠરાવ કર્યો છે.
રાજકોટમાં જામનગર રોડ ઉપર નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગમા ટેબલ મુકવાનો વિવાદ શમી ગયા બાદ હવે ફરીથી ભડકો થયો છે. નવા કોર્ટ બિલ્ડિંગમાં નીચેના માળે ટેબલો મુકાઈ ગયા બાદ જગ્યા પેક થઈ જતા બાકી રહેલા 800થી વધુ ટેબલો માટે ઉપરના માળે જગ્યા ફાળવવા રાજકોટ બાર એસોસિએશન દ્વારા ડિસ્ટ્રિક્ટ જજને રજૂઆત કરાઈ હતી, પરંતુ તેનો નિર્ણય હજુ સુધી લેવાયો નહી હોવાથી બાર એસોસિએશનના હોદેદારો સહિતના વકીલો મંગળવારે સાંજે કમિટીના જજોને મળવાનો સમય માંગ્યો હતો. પરંતુ મળવાનો સમય નહિ આપતા વકીલોએ ઉપરના માળે ટેબલો ગોઠવી દેતા કમિટીમાં રહેલા ચાર જજો દોડી આવ્યા હતા અને જજો સાથે પરામર્શ દરમિયાન પોલીસ આવી ચડતા બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી ભડક્યા હતા અને પઅમે ગુંડાઓ છીએ પોલીસ શા માટે બોલાવી તેમ કહી નારાજગી વ્યક્ત કરી હતી.
બાર અને બેન્ચ વચ્ચે વિવાદ વકરતા રાજકોટ બાર એસોસિએશન દ્વારા આજે તાત્કાલિક સિનિયર વકીલો સાથે બેઠક યોજી હતી અને વકીલોએ જનરલ બોર્ડની મીટીંગ ઉભાઉભા લીધી હતી અને જેમાં અનેક મુદ્દા ઉપર વકીલોએ ચર્ચા કરી હતી. અને જનરલ બોર્ડમાં વિવિધ ઠરાવો કરવામાં આવ્યા હતા. અને ન્યાયાધીશો દ્વારા પોલીસને બોલાવવામાં આવેલી ઘટનાને વખોડી કાઢી હતી અને જુના કોર્ટ બિલ્ડીંગમાં બાર એસોસિએશન તરફથી ઝેરોક્ષ મશીન આપવામાં આવ્યું હતું તે મશીન બંધ કરી નવી કોર્ટમાં ઝેરોક્ષની વ્યવસ્થા માટે નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. તે ઉપરાંત બોન્ડ અને પીટીશન રાઇટરની જગ્યા પણ હજુ ફાળવવામાં આવી નથી સહિતના મુદ્દે વકીલોએ ઠરાવ કર્યો હતો કે સેશન્સ જજને રજુઆત કર્યા બાદ માંગણીેઓ સ્વિકારવામાં નહીં આવે તો આગામી 4 માર્ચના રોજ વકીલો એક દિવસની પ્રતિ હડતાલ રાખશે અને આગામી 9 માર્ચના રોજ યોજાઈ રહેલી લોક અદાલતનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બાર એસો. દ્વારા બોલાવવામાં આવેલા જનરલ બોર્ડમાં બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, ઉપપ્રમુખ સુરેશ ફળદુ, સેક્રેટરી પી.સી. વ્યાસ, જોઇન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર આર.ડી. ઝાલા, લાઇબ્રેરી સેક્રેટરી મેહુલ મહેતા, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપ પટેલ, પુર્વ પ્રમુખ લલીતસિંહ સાહી, શ્યામલ સોનપાલ, રણજીત મકવાણા સહીતના સિનીયર- જુનીયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
4થી માર્ચે હડતાળ અને લોક અદાલતના બહિષ્કારની ચીમકી
નવા કોર્ટ બિલ્ડીંગમાં વકીલો વચ્ચે ચાલતો ટેબલોનો વિવાદ શમી ગયો હતો. પરંતુ ઉપરના માળે જગ્યા આપવા મુદ્દે વકીલો અને ન્યાયધીશો સામ-સામે આવી ગયા હોવાની ઘટના સામે આવી છે. વકીલોએ ઉપરના માળે ટેબલો રાખી દેતા દોડી આવેલા કમીટીના ચાર ન્યાયાધીશોએ પોલીસ બોલાવી હતી. જજોના પોલીસ બોલાવવાના નિર્ણય સામે વકીલોમાં રોષ ભભુકયો હતો અને આજે રાજકોટ બાર એસોસીએશનના હોદેદારો અને સિનિયર વકિલો વચ્ચે બેઠક મળી હતી. અને જેમાં તમામ પેન્ડીંગ પ્રશ્નો અંગે ન્યાય નહીં મળે તો આગામી 4થી માર્ચના રોજ વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહી એક દિવસની હડતાલ ઉપર ઉતરશે અને આગામી 9મી માર્ચના રોજ યોજાનાર લોક અદાલતનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચારી હોવાનું જાણવા મળ્યું છે.