રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતોની હાર માળા યથાવત : વધુ એક વ્યક્તિએ જીવ ખોયો
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતની હાર માળા યથાવત રહી છે. ગઈકાલે શેખપાટ ગામના પાટીયા પાસે વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો હતો. ઠેબા ગામના કારખાનેદાર બુઝુર્ગ ધ્રોલ પંથકમાંથી લૌકિક ક્રિયા પતાવી ને પરત ફરી રહ્યા હતા, દરમિયાન બંધ ટ્રક પાછળ ઘુસી જતાં ગંભીર ઇજા થવાથી તેઓનું કરુણ મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા અને બ્રાસપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા પરષોત્તમભાઈ લાધાભાઈ સંઘાણી નામના 63 વર્ષના બુઝુર્ગ કે જેઓ પોતાના કુટુંબીનું અવસાન થયું હોવાથી લૌકિક ક્રિયા પતાવવા માટે ધ્રોલ પંથકમાં ગયા હતા, અને ત્યાંથી પોતાના સ્કૂટર પર ઠેબા ગામે પરત આવવા માટે નીકળ્યા હતા.
તે દરમિયાન જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર શેખપાટ ગામના પાટીયા પાસે માર્ગ ઉપર બંધ પડેલા જી.જે. 25 યૂ. 9923 નંબરના ટ્રક ની પાછળ ઘૂસી જતાં ગોજારો અકસ્માત થયો હતો.
જેમાં તેઓને હેમરેજ સહિતની ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નીપજયું છે. મૃતક પરસોત્તમ ભાઈના પુત્ર નરેશભાઈ સંઘાણીએ જામનગરના પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં માર્ગ પર રેઢો મૂકી દેનાર ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ જી.કે. જાડેજા વધુ તપાસ ચલાવે છે.
યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
જામનગરમાં શંકર ટેકરી નજીક વાલ્મિકી નગરમાં રહેતા અને મજૂરી કામ કરતા મહિપાલસિંહ સંજયભાઈ વાઘેલા નામના 24 વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
આ બનાવ અંગે મૃતક ના નાના ભાઈ વિષ્ણુભાઈ સંજયભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય. બી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવના મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.