હીરાસર એરપોર્ટ ઓથોરિટીના પાપે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટને લાગ્યું ગ્રહણ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના આગમન પૂર્વે અનેક છીંડા સામે આવ્યા: એરપોર્ટના પ્રવેશદ્વારે શ્વાનોનો અડ્ડો, ટર્મિનલમાં મુસાફરોને ચડવા માટેની ઇલેક્ટ્રિક સીડી બંધ
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓથોરિટીના પાપે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટને ગ્રહણ લાગ્યું છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર હવાઈ મુસાફરોને સુવિધાના બદલે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્રીય ગુહ પ્રધાન અમિત શાહના રાજકોટમાં આગમન પૂર્વે હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ક્ષતિઓ બહાર આવી છે. એરપોર્ટ પર ઓથોરિટીના યાત્રી સેવા દિવસની ઉજવણી કરાઈ હતી. ત્યારે યાત્રી સેવા દિવસે જ અનેક છીંડા સામે આવ્યા હતા. જેનાથી હવાઈ મુસાફરો પરેશાન થયા છે. રાજકોટ હીરાસર એરપોર્ટ ઓથોરિટીએ રૂૂ.2થી 3 લાખ ખર્ચી નાખ્યા છતાં છેલ્લા 10થી વધુ દિવસથી બંધ પડેલી એસ્કેલેટર સિડી હજુ સુધી રિપેર ન થતા હવાઈ મુસાફરો સિડીઓ ચડીને કસરત કરવા મજબુર બન્યા છે. તો આટલી હાઈ સિક્યોરિટી છતા પણ શ્વાનના આંટાફેરા પર હજુ સુધી રોક લાવી શકાયો નથી.ઉપરાંત એરપોર્ટમાં પાણીની પણ સમસ્યા હોવાની અનેક ફરિયાદ ભુતકાળમાં થઇ છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેમન ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું 27 જુલાઈ, 2023ના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે તેના 2 વર્ષ બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂૂ થઈ નથી અને મુસાફરલક્ષી અનેક અસુવિધાઓ સામે આવતી રહે છે. તેમના જ જન્મદિન પર એરપોર્ટે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હીરાસર એરપોર્ટ પર યાત્રી સેવા દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. પરંતુ રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યાત્રીકોને સારુ દેખાડવા કરતા સુવિધાઓ પૂરી થાય તે વધુ હિતાવહ રહે તેવી સ્થિતી સર્જાઈ છે.
એરપોર્ટ પરથી દૈનિક અવરજવર કરતી 9 જેટલી ફ્લાઇટમાં 3000 હવાઈ મુસાફરોની અવરજવર રહે છે. જેમાંથી દરરોજ 1500 જેટલા મુસાફરોને ફલાઇટમાં જવા માટે ટર્મિનલની ઇલેક્ટ્રિક સીડીનો ઉપયોગ કરે છે. હાલ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અરાઇવલ વિભાગ તરફ બે એસ્કેલેટર સિડીમાંથી એક ઉપર તરફ જવાની સિડી બંધ હોવાથી મુસાફરો પગેથિયા ચડવા મજબુર બન્યા હતા. તેના કારણે મુસાફરોને ધરાર કસરત પણ થઈ જાય છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવેશદ્વાર શ્વાનોનો અડ્ડો બની ગયો છે. પ્રવેશ દ્વારે જ શ્વાનોનું નિરાતે સુતા જોવા મળે છે.
એરપોર્ટ ઓથોરીટી દ્વારા યાત્રી સેવા દિવસની ઉજવણી માટે રૂૂ.3લાખનો ખર્ચ કર્યો હોવાનું એરપોર્ટ ડાયરેક્ટર દીગંત બહોરાએ કહ્યુ હતું. મતલ અહિંયા આવતા જતા મુસાફરોને હાંથીના દાંતની જેમ ખાવાના અને બતાવવાના અલગ અલગ હોય તેમ લાગી રહ્યું હતું.
યાત્રી સેવા દિવસની નોંધ ખૂદ એરપોર્ટ ઓથોરીટી લેવાનું હોવાથી ડાયરેક્ટર દ્વારા એરપોર્ટનું સારુ દેખાડવાના અનેક પ્રયાસો કર્યા હતા. ઉપરાંત એરપોર્ટ ટર્મિનલના એટીસી ટાવરની બાજુમાં જ એક મોટો હોલ બંધ હાલતમાં છે. ત્યાં મોટી સંખ્યામાં નવીનકોર ઓફિસ ચેર ધૂળ ખાધેલી હાલમાં પડેલી છે. આટલી બધી નવીનકોર ઓફિસ ચેરની ખરીદી શા માટે કરવામાં આવી અને ખરીદી બાદ આ ખુરશીઓ શા માટે અહીં ઉપયોગ વિનાની પડેલી છે તે સૌથી મોટો સવાલ છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે સોમવારે કેન્દ્રીય ગુહ પ્રધાન અમિત શાહ રાજકોટ આવી રહ્યા છે. ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યાત્રીની અસુવિધાઓનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યું છે.