ડાઘિયાનો વધતો ત્રાસ: વધુ એક માસુમને ચૂંથી નાખ્યો
કોઠારિયા સોલવન્ટ 25 વારીયાની ઘટના; પાડોશીના બે પાલતુ શ્ર્વાને ઘર પાસે રમતા 6 વર્ષના બાળકને બચકા ભર્યા
માસુમ બાળકને લોહી લુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો
રાજકોટ સહીત રાજયભરમા રખડતા ઢોર અને શ્ર્વાનોનો દિવસે દિવસે આતંક વધી રહયો છે. જેનાં કારણે અનેક માનવ જીંદગી કાળનાં ખપરમા હોમાય હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમા આવી છે. શાપરમા છ માસનાં માસુમને ડાઘીયાઓનાં ટોળાએ ફાડી ખાધાની ઘટના હજુ વિસરાય નથી ત્યા રાજકોટમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા 25 વારીયામા રહેતા શ્રમીક પરીવારનો છ વર્ષનો માસુમ ઘર પાસે રમતો હતો ત્યારે પાડોશીનાં બે પાલતુ શ્ર્વાને માસુમને બચકા ભરી લીધા હતા. માસુમ બાળકને લોહી લુહાણ હાલતમા તાત્કાલીક સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા રપ વારીયામા રહેતા શ્રમીક પરીવારનો સાગરકુમાર નીરાલાભાઇ ચૌધરી નામનો છ વર્ષનો માસુમ બાળક બપોરનાં બે વાગ્યાનાં અરસામા પોતાનાં ઘર પાસે રમતો હતો ત્યારે શ્ર્વાને માસુમ બાળકનાં સાથળનાં ભાગે બચકા ભરી લીધા હતા. માસુમ બાળકે રાડા રાડી કરતા આડોશ પાડોશનાં લોકો એકઠા થઇ ગયા હતા. લોકો એકઠા થતા શ્ર્વાન નાસી છુટયા હતા. જયારે શ્ર્વાનોનાં હુમલામા ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકને લોહી લુહાણ હાલતમા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરમા હોસ્પીટલનાં બીછાને સારવાર લઇ રહેલા સાગર કુમાર ચૌધરીનો પરીવાર મુળ બીહારનો વતની છે. અને તેનાં પિતા કારખાનામા મજુરી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. સાગર કુમાર ચૌધરી બે ભાઇ એક બહેનમા મોટો છે. ગઇકાલે બપોરનાં સમયે સાગર કુમાર ચૌધરી પોતાનાં ઘરની ડેલી બહાર રસ્તા પર રમતો હતો ત્યારે પાડોશીનાં બે પાલતુ શ્ર્વાન ધસી આવ્યા હતા. અને રમી રહેલા બાળક પર હુમલો કરી સાથળનાં ભાગે બચકા ભરી લીધા હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શ્વાનોના વંધ્યીકરણ અને વ્યવસ્થાપન માટે સઘન ઝુંબેશ ચલાવવા માગ
આ ઘટનાએ ફરી એકવાર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોના વધતા જતા ત્રાસ અને તેના નિરાકરણ માટે તંત્રની નિષ્ફળતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં જ્યાં શ્રમિકો મોટી સંખ્યામાં રહે છે અને તેમના બાળકો બહાર રમતા હોય છે ત્યાં આવા હુમલાઓનું જોખમ વધુ હોય છે. તંત્ર દ્વારા રખડતા શ્વાનોના વંધ્યીકરણ અને વ્યવસ્થાપન માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવે તે હવે જરૂૂરી બન્યુ છે.