ગૃહકલેશથી પરિવારનો માળો પીંખાયો: યુવકે કૂવામાં ઝંપલાવી જીવ દીધો
ગૃહકલેશના કારણે અનેક પરિવારોના માળા પિંખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં કુવાડવા ગામે ઘર કંકાસથી કંટાળી યુવાને કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુવાડવામાં રહેતા અનિલ વાઘજીભાઈ બાહુકીયા નામનો 30 વર્ષના યુવાને કુવાડવા ગામે આવેલા તળાવ પાસે ગણેશભાઈ પાંચાભાઇની વાડીમાં આવેલા કુવામાં મોતની છલાંક લગાવી હતી. વાડીમાં કામ કરતા મજૂરોના ધ્યાને આવતા મજૂરો તાત્કાલિક કુવા કાંઠે દોડી ગયા હતા અને મજૂરોએ કુવામાં દરડુ નાખી અનિલ બહુકીયાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અનિલ બાહુકિયાને બચાવી નહી શકતા ઘટના સ્થળે હાજર લોકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા ફાયર બ્રિગેડ અને કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો ફાયર બ્રિગેડના સ્ટાફની ભારે જહેમત બાદ અનિલ બાહુકિયાનો મૃતદેહ હાથ લાગ્યો હતો. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ મળશે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક અનિલ બાહુકિયા બે ભાઈમાં નાનો હતો અને તેને સંતાનમાં બે પુત્રી છે અનિલ બાહુકિયાએ ગૃહકલેશથી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.