હળવદના ખારીવાડી નજીક અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો
- પોલીસ દ્વારા વાલી વારસની શોધખોળ
હળવદ શહેરમાં વેગડવાવ રોડ તરફ અને ખારી વાડી પાસે આજે એક ખેતરમાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી કરીને આ મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. અને અજાણ્યા આધેડની ઓળખ મેળવવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની મળતી માહિતી મુજબ હળવદ પંથકમાં છેલ્લા બેચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને સમગ્ર વાતાવરણ એકદમ ઠંડુગાર બન્યું છે. ત્યારે હળવદ શહેરમાં વેગડવાવ રોડ તરફ ખારીવાડીના રસ્તે આવેલા ખેતરમાં કોથળા બાંધેલા ઝુંપડામાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. અને જેની જાણ હળવદ પોલીસને કરવામાં આવી હતી. બનાવના પગલે હળવદ પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ તેમજ અજાણ્યા આધેડની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે આ બાબતે બીટ જમાદાર કેશુભાઈ બાવળીયાને પુછતા તેઓએ ઠંડીના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક કારણ જણાવ્યું હતુ. જોકે આધેડની લાશ પાસેથી દેશીદારૂૂની ખાલી કોથળીઓ મળી આવી હતી. જોકે પીએમ થયા બાદ જ મોતનું સાચુ કારણ જાણી શકાશે.