ખુદ મુખ્યમંત્રી ખેતરોમાં ઉતર્યા, અચાનક જ ગામડાઓમાં પહોંચ્યા
ગીર સોમનાથ જિલ્લાના ગામડાઓમાં સ્થિતિની સમીક્ષા કરી
સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના કારણે ખેડુતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે મંત્રીઓ બાદ હવે ખુદ મુખ્યમંત્રી મેદાને આવ્યા છે અને આજે બપોર બાદ મુખ્યમંત્રી ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાજેતરના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની સ્થિતિના નિરીક્ષણ માટે આજે બપોર બાદ આ જિલ્લાઓના ગામોની મુલાકાતે પહોંચ્યા છે.
મુખ્યમંત્રી ખેડૂતો પર આવી પડેલી આ કુદરતી વિપદામાં તેમની પડખે ઊભા રહેવાની સંપૂર્ણ સંવેદનશીલતા સાથે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણ અને જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામોના અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને સ્થળ પરની સ્થિતિની સમીક્ષા કરશે.
મુખ્યમંત્રી સાથે ગીર સોમનાથના કડવાસણ ગામની મુલાકાતમાં મંત્રીઓ અર્જુનભાઈ મોઢવાડિયા અને ડો. પ્રદ્યુમનભાઈ વાજા તથા જુનાગઢના પાણીદ્રા ગામની મુલાકાતમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા પણ જોડાશે.
