સોમનાથના આસપાસના વિસ્તાર ‘નો ફલાય ઝોન’ તથા ‘નો ડ્રોન ઝોન’ જાહેર
મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ તા. 10/10/2025ના રોજ ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિરની મુલાકાત લેશે. મહાનુભાવ પબ્લુબુકથ મુજબની સુરક્ષા કવચ ધરાવતા હોવાથી મહાનુભાવશ્રીના મુલાકાતવાળા સ્થળોને જાહેરનામું પ્રસિદ્ધ કરી નો ફલાય ઝોન તથા નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.
મહાનુભાવની યોગ્ય સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવાયું છે કે, મહામહિમ રાષ્ટ્રપતિની ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત અન્વયે વેરાવળ તાલુકાના પ્રભાસપાટણ ખાતે આવેલ સોમનાથ મંદિર (20.887993 N, 70.40154 E) તથા તેની આસપાસના 05(પાંચ) કિ.મી.ના વિસ્તારમાં ડ્રોન(UAV)નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ આ વિસ્તારને નો ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
આ જાહેરનામું તા.10/10/2025ના 00:00 કલાકથી 24:00 કલાક સુધી દિન-01 માટે અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતાની કલમ223 મુજબ શિક્ષાને પાત્ર થશે.