આભાર કિશોરભાઇ કાનાણી ; સાવરકુંડલામાં બેનરો લાગ્યા
ભાજપની આંતરિક લડાઇમાં મધરાત્રે બેનર કોણ મારી ગયું ? કોઇને ખબર નથી
કમોસમી વરસાદમાં ખેડૂતોને પાકમાં થયેલા નુકસાનની સહાય અને દેવા માફી મામલે અમરેલી જિલ્લો એપીસેન્ટર બની ગયો છે. ગઇકાલથી કોંગ્રેસે ખેડૂત સત્યાગ્રહ આંદોલન શરૂૂ કર્યું છે. તો બીજી તરફ આજે મધરાતે સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના નામે સાવરકુંડલામાં બેનર લાગ્યાં છે, જોકે આ બેનર કોણે લગાવ્યાં એ મામલે હજી કોઇ ચોક્કસ માહિતી નથી.
સાવરકુંડલામાં કુમાર કાનાણીના નામે લાગેલા બેનરમાં લખવામાં આવ્યું છે કે જય જવાન જય કિસાન, ખેડૂતનું સાચું દર્દ સમજવા બદલ આભાર.. કમોસમી માવઠામાં ખેડૂતોની વેદનાને વાચા આપી દેવા માફી માટે રજૂઆત કરવા બદલ સુરત (વરાછા)ના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી(કુમાર)નો ખૂબ ખૂબ આભાર..ખેડૂત પરિવાર સાવરકુંડલા..
આ બેનર કોણે લગાવ્યાં એ અંગે સાવરકુંડલા શહેર ભાજપ-પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડે જણાવ્યું કે અમારા તરફથી કોઇએ નથી લગાડ્યાં. જ્યારે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદીએ જણાવ્યું કે બેનર ક્યારે લાગ્યાં એની જ મને ખબર નથી. આ તમારો ફોન આવ્યો ત્યારે મને ખબર પડે છે, મારી જાણમાં કંઇ નથી.
કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનીના વળતર અને દેવા માફી મામલે અલગ-અલગ પાર્ટીના ધારાસભ્યો મામલતદાર-કલેક્ટરથી માડીને મુખ્યમંત્રી સુધી પત્ર લખી ચૂક્યા છે. ત્રણ દિવસ અગાઉ સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું કતું કે બિનજરુરી પ્રોજેક્ટનાં કામો અને સરકારી ખર્ચાઓ બંધ કરી ખેડૂતને દેવામુક્ત કરી શકાય..
સાવરકુંડલામાં કાનાણીના પોસ્ટરને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે, કારણ કે ભાજપના હોદ્દેદારો આ મુદ્દે કંઇ જાણતા ન હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે વિપક્ષે આ બેનર લગાવ્યાં હોવાનો પણ ગણગણાટ છે. બીજી તરફ આ બેનર હટાવવા કે ન હટાવવા એ મામલે પાલિકા અને ભાજપના હોદ્દેદારો અસમંજસમાં છે, કારણ કે બેનર હટાવવાથી પણ વિવાદ સર્જાઇ શકે છે અને ન હટાવવાથી પણ વિવાદ સર્જાવાનાં એંધાણ છે.