એર ઇન્ડિયાના દુર્ઘટના પીડિતો માટે ટાટાનું 500 કરોડનું ટ્રસ્ટ
મૃતકને એક કરોડ, ઘવાયેલાઓને સારવાર, મેડિકલ કોલેજની હોસ્ટેલનું પુનનિર્માણ સહિતની કામગીરી થશે
અમદાવાદમાં ગયા મહિને બનેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટા ગ્રુપે એક મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. શુક્રવારે ટાટા ગ્રુપે રૂા.500 કરોડના AI-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટની રચનાની જાહેરાત કરી છે.
આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા તમામ લોકોને, જેમાં મૃતકોના આશ્રિતો ઘાયલ વ્યક્તિઓ અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસરગ્રસ્ત થયેલા લોકોનો સમાવેશ થાય છે, તેમને તાત્કાલિક અને લાંબા ગાળાની સહાય પૂરી પાડવાનો છે. ઙઝઈંના સમાચાર મુજબ, ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ્સે આ ટ્રસ્ટ માટે અનુક્રમે રૂા.250-રૂા.250 કરોડનું યોગદાન આપવાનું વચન આપ્યું છે. આ ટ્રસ્ટ મુંબઈમાં જાહેર ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધાયેલ છે.AI-171 મેમોરિયલ અને વેલ્ફેર ટ્રસ્ટનું સંચાલન 5 સભ્યોના ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવશે. જેમાં ભૂતપૂર્વ ટાટા અધિકારી એસ. પદ્મનાભન અને ટાટા સન્સના જનરલ કાઉન્સેલ સિદ્ધાર્થ શર્માને ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ત્રણ ટ્રસ્ટીઓની નિમણૂક ટૂંક સમયમાં કરવામાં આવશે. ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશ્યોમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને રૂા.1 કરોડની સહાય પૂરી પાડવાનો, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને તબીબી સહાયપૂરી પાડવાનો અને અમદાવાદમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના ક્ષતિગ્રસ્ત હોસ્ટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પુનર્નિર્માણમાં મદદ કરવાનો સમાવેશ થાય છે.
નિવેદન મુજબ, જરૂૂરી કર નોંધણી અને ઓપરેશનલ ઔપચારિકતાઓ પૂર્ણ થયા પછી ટ્રસ્ટને સંપૂર્ણ ગંભીરતાથી અમલમાં મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જૂન 12 ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ (બોઇંગ 787-8) ટેકઓફ કર્યા પછી તરત જ એક ઇમારત સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કુલ 260 લોકોના કરુણ મોત થયા હતા, જેમાં વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ સભ્યો પૈકી માત્ર એક જ વ્યક્તિ બચી શક્યો હતો, અને જમીન પર રહેલા 19 લોકોનો પણ સમાવેશ થાય છે. ટાટા ગ્રુપનો આ પ્રયાસ પીડિત પરિવારોને આ મુશ્કેલ સમયમાં મોટો ટેકો પૂરો પાડશે.
ટ્રસ્ટનો વ્યાપક હેતુ અને સહાયનું માળખું
ટાટા સન્સ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આ ટ્રસ્ટ માત્ર દુર્ઘટનાના પીડિતોને જ નહીં, પરંતુ અકસ્માત પછી મહત્વપૂર્ણ યોગદાન આપનારા અને સેવા પૂરી પાડનારા પ્રથમ પ્રતિભાવ આપનારાઓ તબીબી અને આપત્તિ રાહત કાર્યકરા સામાજિક કાર્યકરો અને સરકારી કર્મચારીઓને પણ સહાય પૂરી પાડશે.