RTEમાં પ્રવેશ માટે આવકના દાખલામાં છેડછાડ કરાઇ હોવાની શંકાસ્પદ હિલચાલ
નર્મદા જિલ્લામાં સામે આવેલું કારસ્તાન; સમગ્ર રાજ્યમાં ખરાઇ કરવા તૈયારી
રાઇટ ટુ એજ્યુશેકન અંતર્ગત રાજ્યમાં હાલ 25 ટકા બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. RTEમાં પ્રવેશ મેળવવા માટે ધણીવખત પ્રમાણપત્રોમાં છેડછાડ કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે કેટલાક શંકાસ્પદ આવકના દાખલા તંત્રના ઘ્યાને આવતા તલાટીમંત્રીઓને ખરાઇ કરવા માટે મોકલવામાં આવ્યા છે.
નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા સાચા, જરૂૂરિયાતમંદ, નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશનો લાભ મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આ કચેરી દ્વારા પ્રથમ રાઉન્ડમાં ફાળવણી થયેલા વિદ્યાર્થીઓ પૈકી નર્મદા જિલ્લાની ધ્યાન પર આવેલી ઓછી આવક દર્શાવેલી અરજીઓમાં સબંધિત અરજદારો દ્વારા અપલોડ કરવામાં આવેલા આવકના દાખલાઓ શંકાસ્પદ જણાતા આવા આવકનાં દાખલાઓ તલાટીને ખરાઈ અર્થે મોકલવામાં આવ્યા હતા.
જેમાં આ દાખલાઓ ખોટા સહી-સિક્કાવાળા જણાતા સબંધિત કસુરવારો સામે નર્મદા જિલ્લાના તલાટીઓ દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં 50 હજાર કે તેથી ઓછી આવકના દાખલા રજૂ કરી RTE હેઠળ પ્રવેશ મેળવેલ અરજદારોના આવકના દાખલાઓની જિલ્લા શિક્ષણાધિકારી કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા દાખલો ઈસ્યુ કરનાર કચેરી ખાતેથી ખરાઈ કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે. જો ખરાઈ બાદ આવકના ખોટા દાખલાઓ ધ્યાન પર આવશે તો જિલ્લાકક્ષાએથી આવા બાળકોના RTE હેઠળના પ્રવેશ નિયામાનુસાર રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.