સુરેન્દ્રનગર જિલ્લા પ્રા. શિ. સંઘનાં મહામંત્રીના ચાર્જ અંગે કશ્મકશ!
નવાની નિમણૂંક બાદ જૂના દ્વારા ચાર્જ ન સોંપાતાં કાનૂની કાર્યવાહીની ચીમકી!
સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પદ માટે નિવૃત થયેલા જૂના મહામંત્રીએ ચાર્જ ના સોપતા ખુદ સંઘને દ્વારા લડત આદરવી પડે તેવા સંજોગો ઉભા થતા આખરે ના છુટકે ફોજદારી / કાનુની કાર્યવાહી કરવી પડે તેવી ફરજ ઉભી થવા અંગે નો પત્ર લખાતા શિક્ષક જગતમાં ચર્ચા સાથે ચકચાર જગાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પૂર્વ મહામંત્રી ગંભીરસિંહ બોરાણા ને વર્તમાન પ્રમુખ મહામંત્રીએ સંઘનાં લેટર પેડ ઉપર એક પત્ર લખીને તાત્કાલિક ચાર્જ સોંપી આપવા અંગે જાણ કરવામાં આવેલ છે. જિ.પ્રા.શિ.સંઘ સુરેન્દ્રનગરના બંધારણ મુજબ જિલ્લા સમિતિની શાળાઓમાં ફરજ પર ચાલુ હોય તે સભ્ય તરીકે રહી શકે તેમ છતા તા.14/03/25 સુધી ચાલુ રાખ્યા. પરંતુ જીલ્લા લેવલે નાણાકિય વહિવટ ઓડિટેબલ હોય નિવૃત્ત શિક્ષક મહામંત્રી તરીકે ચાલુ હોય તે બંધારણને સુસંગત નથી. જેથી તા.15/03/25 ના સંકલન સભા બોલાવવામાં આવેલ જેમા લખતર તાલુકાનાં પંચાલ મહેન્દ્રભાઈને સર્વાનુમને કાર્યકારી મહામંત્રી તરીકે નિયુકત કરવામાં આવેલ હોવાનું જણાવી નિવૃત થયેલ હોવાથી મહામંત્રી તરીકે નથી. જેથી આપની પાસે રહેલ જિ.પ્રા.શિ.સંઘ સુરેન્દ્રનગરનું તમામ દફતર કાર્યકારી મહામંત્રી પંચાલ મહેન્દ્રભાઈને સોંપી દેવા જણાવવામાં આવે છે.
સંકલનસભામાં નવા કાર્યકારી મહામંત્રીની નિમણૂંક થયેલ હોય સંકલન સભાની તારીખ સુધીનો નાણાકિય વહિવટનો રોજમેળ, વાઉચર ફાઈલ તથા અન્ય દફતર તૈયાર કરી દિવસ પાંચમાં પંચાલને સોંપી દેવા જણાવવામાં આવે છે. સંકલન સભાની તારીખ બાદના ખર્ચના વાઉચરો પંચાલને આપવામાં આવેલ છે.
ફરજ નિવૃત થવા છતા પૂર્વ મહામંત્રી દ્વારા સંઘના બેંક એકાઉન્ટમાં નાણાકીય વહીવટ પર રુકાવટ લાવવા બેંકમાં મે રાજીનામું આપેલ નથી તેથી સહિના નમૂનામાં ફેરફાર કરવો નહી. બીજુ અગાઉના મહામંત્રી નિવૃત થયેલ હોય તેઓ પાસેથી કયારેય પણ રાજીનામું લેવામાં આવેલ નથી.
અને જો લેવામાં આવેલ હોય તો આપનાં દફતર સાથે રજુ કરવું, આવું લખાણ આપી સંઘનાં વહીવટમાં અડચણ ઉભી કરેલ હોવાનું જણાવી આપેલ લખાણ તાત્કાલીક પરત ખેંચી લેવા જણાવ્યું છે. તેમજ અન્યથા ન છુટકે આપ પર ફોજદારી/કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી લેખિત ચીમકી આપતા શિક્ષક જગતમાં મહામંત્રીનાં ધરાહાર પદ અંગે ચર્ચા સાથે ચકચાર જગાવી છે.શિક્ષક જગતમાં તેઓનાં સંઘની એક વિશેષ ભૂમિકા હોય છે. જેના હોદ્દાઓની પણ એક ગરીમા રહેલી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પદ માટે નિવૃત થઈ ગયા છતા પદ ન છોડવા માટે દાવપેચ લડાતા શિક્ષક સંઘનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.