સુરેન્દ્રનગર: ભોગાવો નદીના ડેવલપમેન્ટ-બ્યુટીફિકેશન માટે 141 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ કરાયો તૈયાર
અમદાવાદ રિવરફ્રન્ટની માફક વિક્સાવવા આયોજન
સુરેન્દ્રનગરની ભોગાવો નદીના ડેવલપમેન્ટ અને બ્યુટીફીકેશન માટે 141 કરોડ રૂૂપિયાનો પ્રોજેક્ટ ધારાસભ્ય જગદીશ મકવાણા અને સુરેન્દ્રનગરના પ્રભારી મુળુભાઈ બેરાએ તૈયાર કર્યો છે અને ટૂંક સમયમાં પ્રોજેક્ટ સરકાર સમક્ષ મૂકવામાં આવશે.
ભોગાવો નદી 3 ગામોને જોડે છે જેમાં જોરાવનગર, રતનપર અને વઢવાણનો સમાવેશ થાય છે. પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે ભોગાવો નદી ઉપરથી પસાર થવું હોય તો મોંઢે રૂૂમાલ રાખવો પડે છે.
હવે બ્યુટીફિકેશનના નામે ફરી 141 કરોડનો ખર્ચો કરવા સરકારે તૈયારી દેખાડી છે પરંતુ આવું તો શહેરીજનોએ વારંવાર સાંભળ્યું છે. જે તે સમયે તત્કાલીન ધારાસભ્ય ધનજીભાઈ પટેલ હતા ત્યારે સુરેન્દ્રનગરની ભોગાવો નદી સાફ કરવા માટે જેસીબી મશીનો મુકવાનો જનતાને વાયદો આપેલો અને ત્યારબાદ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર આજ દિન સુધી કામ નથી થયું.
હવે ફરી એક વખત સ્થાનિક ધારાસભ્ય જગદીશ મકવાણાએ સરકાર સમક્ષ 141 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, પરંતુ તેનો સારી રીતે ઉપયોગ થાય તેવી શહેરીજનોએ માંગ કરી છે.
અમદાવાદ રિવરફ્રન્ટની માફક સુરેન્દ્રનગરનો રિવરફ્રન્ટ વિકસાવવામાં આવશે, ત્રણ ચેક ડેમો બનાવવામાં આવશે, લાઇટિંગ ગોઠવવામાં આવશે અને ભોગાવો નદીમાં પાણી ભરાઈ રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ ગંદકી દૂર કરવામાં આવશે.