સુરતથી દુબઇ જતી ફલાઇટનું અધવચ્ચે એન્જિન ખોટકાયું: અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ
સુરતથી દુબઈ જઈ રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટમાં એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને અમદાવાદમાં ડાયવર્ટ કરીને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. આ ઘટનાને કારણે ફ્લાઇટમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, જોકે પાઇલટની ત્વરિત અને સમયસરની કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના થતા અટકી હતી. જે બાદ મુસાફરોને એરક્રાફ્ટ બદલ્યા બાદ અમદાવાદથી દુબઈ તરફ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આજે ઇન્ડિગોની ફ્લાઇટ (નંબર 6E-1507) સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઈ જવા માટે 150થી વધુ મુસાફરો સાથે ટેક-ઓફ થઈ હતી. પ્લેન જ્યારે મધદરિયે પહોંચ્યું ત્યારે તેના એક એન્જિનના પરફોર્મન્સમાં અચાનક સમસ્યા સર્જાઈ હતી. પાયલટને આ ખામીની જાણ થતાં તેમણે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો અને પ્લેનને નજીકના એરપોર્ટ પર ડાયવર્ટ કરવાની મંજૂરી માંગી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાયલટે પ્લેનને સૌથી નજીકના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લીધો હતો.
પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની જાણ થતાં જ મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘણા મુસાફરોએ પોતાનો ડર વ્યક્ત કર્યો હતો, પરંતુ પાઇલટે પરિસ્થિતિને અંકુશમાં લઈને પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું. પ્લેનનું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ થતા જ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને બધા મુસાફરો સુરક્ષિત છે.
અમદાવાદ એરપોર્ટ પર પ્લેનનું લેન્ડિંગ થયા બાદ ઇન્ડિગોનો ટેકનિકલ સ્ટાફ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલમાં, એન્જિનની ખામીને ચોક્કસપણે ઓળખવા માટે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. પ્લેનને સર્વિસમાં પાછું લાવતા પહેલા તમામ સુરક્ષા માપદંડોની ચકાસણી કરવામાં આવશે. મુસાફરોને દુબઈ પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી એરક્રાફ્ટ બદલ્યા બાદ અમદાવાદથી દુબઈ તરફ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ ઘટના ફરી એકવાર હવાઈ મુસાફરીમાં પાઇલટની કુશળતા અને ત્વરિત નિર્ણય શક્તિનું મહત્વ દર્શાવે છે. તેમના આ નિર્ણયને કારણે એક મોટી દુર્ઘટના ટળી શકી છે.