સોમનાથમાં વિવાદ વાળી જમીન સરકારી ઠરાવતી સુપ્રીમ કોર્ટ
મુસ્લિમ પક્ષને ઝટકો, જગ્યા ઉપર ધાર્મિક કાર્યક્રમો કરવાની પણ મનાઈ
વેરાવળ સોમનાથમાં ડિમોલિશન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પાસે બુલડોઝર એક્શન મામલે મુસ્લિમ પક્ષને રાહત મળી નથી. આ સુનાવણી દરમિયાન કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, ડિમોલિશન વાળી વિવાદિત જગ્યા સરકારની છે. સુપ્રીમ કોર્ટે વેરાવળ સોમનાથમાં દબાણો દૂર કરવા મોટા પાયે કરેલા ડિમોલિશન મુદ્દે અરજદારોની અરજી ફગાવી દીધી છે.
ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલિશન કેસની શુક્રવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી. દરમિયાન, સુપ્રીમ કોર્ટે તોડી પાડવામાં આવેલી દરગાહ પર 1થી 3 ફેબ્રુઆરી દરમિયાન ઉર્સનું આયોજન કરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી હતી. ગુજરાતના અધિકારીઓએ કોર્ટને જણાવ્યું હતું કે સરકારી જમીન પર બનેલા મંદિરો સહિત અનધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખિત જમીન પર ધાર્મિક કાર્યક્રમો સહિત કોઈપણ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી નથી.
જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે ગુજરાત સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા કરવામાં આવેલી રજૂઆતોની નોંધ લીધી કે, સરકારી જમીન પર મંદિરો સહિત તમામ અનધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. મહેતાએ જણાવ્યું હતું કે, અગાઉ અતિક્રમણ કરાયેલી જમીન પર હિન્દુ ધાર્મિક વિધિઓ સહિત કોઈપણ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવી રહી નથી.
અરજદાર વતી હાજર રહેલા વકીલે કહ્યું કે, ત્યાં એક દરગાહ હતી, જેને અધિકારીઓએ તોડી પાડી હતી. અધિકારીઓએ ગુરુવારે તેના માટે પરવાનગી આપવાની ના પાડી છે. બેન્ચે કહ્યું કે અરજીમાં કરવામાં આવેલી વિનંતી મુખ્ય કેસની સુનાવણી કર્યા વિના સ્વીકારી શકાય નહીં. એમ કહીને ઉર્સ ઉજવવાની અરજીને ફગાવી દીધી હતી.
જણાવી દઈએ કે, વેરાવળ સોમનાથ જિલ્લામાં રાજ્ય સરકારે મોટા પ્રમાણમાં કાર્યવાહી કરતાં મોટા પ્રમાણમાં ડિમોલિશન કર્યું હતું. સરકાર તરફથી કરાતું કોંક્રિટ ફેંસિંગ પૂર્ણ કરી દેવાયું છે. ડિમોલિશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને આજની તારીખે ફેન્સીંગ પણ થઈ ચૂક્યું છે તેવી સરકારે રજૂઆત કરી હતી. સોમનાથ મંદિરની આસપાસ કથિત ગેરકાયદેસર બાંધકામ પર 30 સપ્ટેમ્બરના રોજ બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. પટણી મુસ્લિમ સોસાયટીએ 1 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરી હતી. આ અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. અરજીમાં દરગાહ માંગરોળ શાહ બાબા, ઇદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર-સોમનાથમાં સ્થિત અનેક બાંધકામો ગેરકાયદેસર તોડી પાડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.