કોઠારિયા રોડ પર મંદિરની જગ્યા પર થતી ડિમોલિશનની કામગીરી અટકાવવા કમિશનરને રજૂઆત
હાઈકોર્ટના હુકમનો અનાદર થતો હોવાની એસીપીના પ્રદેશ મહામંત્રી સંજય ગઢવીનો આક્ષેપ
શહેરમાં કોઠારીયા રોડ પર આવેલ મહાકાળી માતાજીના મંદિરની જગ્યા પર હાઈકોર્ટના હુકમનો અનાદર કરી ડિમોલીશનની કામગીરી કરાતી હોવાના આક્ષેપ સાથે એનસીપી ગુજરાત પ્રદેશ મંત્રી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં કોઠારીયા રોડ પર નંદાહોલ પાસે આવેલ મહાકાળી માતાજીના મંદિરે વર્ષોથી વલ્લભભાઈ લીલાધરભાઈ કાતરોડીયા સેવા પૂજા, દેખભાડ અને મંદિરનો વહીવટ કરે છે. આ મંદિરના પુરોગામી મહંત આત્મરામ ગુરૂ ભગદાસને મુળ ખેડૂત ખાતેદાર સ્વ.સ્વદાસભાઈ હિરાભાઈ પટેલે રાજકોટનાં રેવન્યુ સર્વે નં.311 પૈકીની તેમના ખાતાની જમીન એકર 25-38 ગુંઠા જમીન એકર 9 ગુંઠા જમીન મહાકાળી મંદિરના નિભાવ અને સાધુ સંતોને જમાડવા તેમજ ધર્મશાળા બાંધવા સહિતના ખર્ચને પહોંચી વળવા માટે દાન પત્રથી તા.24-2 1962નાં રોજ ચાર આનાના સ્ટેમ્પ પેપર પર દાનમાં આપેલ છે. હાલ આ મંદિરની જગ્યા પર વલ્લભભાઈ કાતરોડીયા સંચાલન કરે છે. મંદિરની તથા આજુબાજુની જગ્યામાં કેટલાક રાજકીય માણસો વગ વાપરી અને માથાભારે માણસોએ પેશકદમી કરી હતી. આ મંદિરના પુરોગામી મહંત જગતગીરી ચમેલગીરીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જે મંદિરની જ્ગ્યા તથા આજુબાજુની જગ્યા ઉપર બાંધકામ અને દુકાનોમાં કોઈ ડીર્સ્ટબ કરવું નહીં તથા કબજામાં દખલગીરી કરવો નહીં તેવો હુકમ કર્યો હતો.
મંદિરના ખર્ચને પહોંચી વળવા વર્ષોથી મંદિરની બહાર આવેલી દુકાનોનું બાંધકામ દૂર કરવા મહાનગરપાલિકાએ નોટિસ આપતાં વલ્લભભાઈ કાતરોડિયાએ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જે કેસ હાલ પેન્ડીંગ છે અને આ દાવાના કામે વલ્લભભાઈની વચગાળાની મનાઈ હુકમની અરજી મંજુર કરી કોર્ટે દાવાવાળી જગ્યાની સ્થિતિ યથાવત રાખવા હુકમ કર્યો હતો. તેમ છતાં આ મિલકત ઉપર કુવા અને ગેરકાયદેસર બાંધકામ, વૃક્ષોનોનું હનન અને કોર્પોરેટર દ્વારા બાકડાઓ મુકવામાં આવ્યા છે. જેથી કોર્ટના હુકમનો અનાદર કરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતાં ડિમોલીશનને અટકાવવા એનસીપી ગુજરાત પ્રદેશ મંત્રી સંજય પી ગઢવી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.