રખડતા ઢોરે વધુ એક ભોગ લીધો; રસ્તામાં ગાય આડી ઉતરતા રિક્ષા પલટી જતાં ચાલકનું મોત
શાપરમાં બનેલી ઘટના; અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધને સારવારમાં ખસેડાયા પણ જીવ ન બચ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી રહ્યાં છે અને રખડતાં ઢોરના ત્રાસથી અનેક લોકોેએ જીવ ગુમાવ્યા છે. ત્યારે વધુ એક ઘટનામાં શાપર નજીક રસ્તામાં અચાનક ગાય આડી ઉતરતા છકડો રીક્ષાના ચાલકે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચાલક વૃધ્ધનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં 40 ફુટ રોડ પર આવેલ રાજદીપ સોસાયટીમાં રહેતાં અશોકભાઈ કલ્યાણદાસ નિમાવત (ઉ.60) સાંજના છએક વાગ્યાના અરસામાં શાપરથી વાવડી રોડ તરફ પોતાની છકડો રીક્ષા લઈને જતાં હતાં ત્યારે રસ્તા ઉપર અચાનક ગાય ધસી આવતાં વૃધ્ધે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં છકડો રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક અશોકભાઈ નિમાવત પાંચ ભાઈ બે બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં ત્રણ પુત્રી છે. અશોકભાઈ નિમાવત શાપરમાં રિક્ષાના ફેરા કરી પરત ફરતાં હતાં ત્યારે જીવલેણ અકસ્માત નડયો હોવાનું જાણવા મળ્યું છે.
આખલા સાથે બાઈક અથડાતાં યુવકને ઈજા
મોરબીના પંચાસર ગામે રહેતો વિરમ પંચાયા નામનો 21 વર્ષનો યુવાન સવારના સમયે રોહિતના બાઈક પાછળ બેસીને જઈ રહ્યો હતો ત્યારે પંચાસર ગામના પુલ પાસે મોરબી રોડ પર રસ્તા પર અચાનક આખલો ધસી આવતાં બાઈક આખલા સાથે અથડાયું હતું. જેમાં બાઈક સવાર વિરમ પંચાયાને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો.