રાજકોટ-ભાવનગર સહિત 4 મહાપાલિકામાં રસ્તાની ગુણવત્તા ચકાસશે રાજ્ય સરકારની ટીમ
રાજ્યમાં તૂટેલા રોડ-રસ્તા મુદ્દે હોબાળો બોલી ગયા બાદ તંત્ર દ્વારા પેચવર્ક સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. છતાં રોડની ગુણવતા નબળી હોવાથી રોડ રસ્તા તૂટેતા હોવાની ફરિયાદો ફરી ઉઠતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મહત્વની બેઠક યોજી ચાર મહાનગરપાલિકાઓમાં ચોમાસા દરમિયાન તૂટેલા રોડ રસ્તામાં થયેલા નુકસાનીની સમીક્ષા કરવા અને ગુણવતા સહિતની ચકાસણી માટે રાજ્યસ્તરની વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. રાજકોટ-ભાવનગર-વડોદરા અને સુરતમાં ટીમ દ્વારા સ્થળ પર રોડ-રસ્તાની ગુણવતાની ચકાસણી કરી રીપોર્ટ તૈયાર કર્યા બાદ શહેરીવિકાસ મંત્રાલયને સુપ્રત કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
પ્રજાને જીવનજરૂૂરી સવલતો પૂરી પાડતા વિકાસકાર્યો સરકારની પ્રાથમિકતા છે. ગુજરાત રાજ્યમાં માન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર આ દિશામાં સતત પ્રયત્નશીલ છે. જે અનુસાર તા. 13/11/2025 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યની મહાનગરપાલિકાઓ પૈકી રાજકોટ-ભાવનગર-વડોદરા અને સુરતમાં પ્રથમ ચકાસણી અર્થે ટીમની રચના કરી આ બાબતની જાણ દરેક મહાનગરપાલિકાને કરવામાં આવી છે.
આ બેઠકમાં લેવામાં આવેલ નિર્ણય અનુસાર, રાજ્યમાં ચોમાસા દરમિયાન ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ હેઠળ બનાવાયેલા કેટલાક રસ્તાઓમાં થયેલ નુકસાનની સમીક્ષા કરવા માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્ય સ્તરની વિશેષ ટીમની રચના કરવામાં આવી છે જેમાં રાજ્યની ભાવનગર, રાજકોટ, વડોદરા અને સુરત જેવી 4(ચાર) મહાનગરપાલિકાઓના રોડની કામગીરીની ચકાસણી કરવા નીચે મુજબ અધિક્ષક ઈજનેરઓના નેતૃત્વ હેઠળ 4(ચાર) વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં ટીમ લીડર તેમજ જીયુડીસી મેનેજર અને સીટી ઇજનેરની નિમણુંક કરવામાં આવી છે.