ગ્રામસેવકની ભરતીમાં થયેલી ગેરરીતિની તપાસ કરવા માટે ફરીથી થયેલી ફરિયાદો
2016-17 માં થયેલ ગ્રામસેવક ભરતીમાં નિયમો વિરૂૂદ્ધ નોકરીઓ આપી દેવામાં આવતા યુવા અગ્રણી દ્વારા સબંધિત વિભાગો અને વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતનાઓને નવા નામો સાથે ફરીથી લેખિત ફરિયાદ કરવામાં આવી છે.રાજ્યમાં 2016-17માં ગ્રામસેવકની ભરતી કરવામાં આવેલ જેમાં કૃષિ ડિપ્લોમા તેમજ બી.આર.એસની લાયકાત નક્કી કરવામાં આવેલ,પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં આ બે ડિગ્રી સિવાયની અન્ય ડિગ્રી ધરાવનાર ઉમેદવારોને નિમણૂકો આપી દેવામાં આવેલ જેને લઈને યુવા અગ્રણી ભાવેશભાઈ સોલંકીએ અલગ અલગ જિલ્લાઓના મળીને કુલ 17 ઉમેદવારોના નામ જોગ ફરિયાદ મુખ્યમંત્રીશ્રી સહિતનાઓને કરી હતી,જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં નામ.કોર્ટ ના આદેશ બાદ આશરે 9 ઉમેદવારોને 5-6 વર્ષે બરતરફ કરવામાં આવેલ છે.
તેમજ ગીર સોમનાથ જીલ્લામાં એક ઉમેદવારે નોકરી સ્વીકારેલ ન હતી,પરંતુ તે સિવાયના અન્ય જિલ્લામાં ગેરરીતિથી નોકરીએ લાગેલા ઉમેદવારો સામે આજદિન સુધી સબંધિત વિભાગો દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવેલ નથી અને નિયમો વિરુદ્ધ નોકરી પર લાગેલ ઉમેદવારો અત્યારે બઢતી અને ફુલ પગાર પર નોકરી કરી રહ્યા હોય એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે,અનેક ફરિયાદો છતાં કોઇપણ પગલા ન લેવાતા યુવા અગ્રણી ભાવેશભાઈ સોલંકી દ્વારા આજરોજ વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતનાઓને પત્રના માધ્યમથી અગાઉના નામ જોગની યાદી ઉપરાંત ગેરરીતિથી લાગેલા તે સિવાયના વધુ 12 ઉમેદવારોના નામ સહિત કુલ 19 ઉમેદવારોના નામ જોગ ફરિયાદ કરી છે તેમજ વિશેષમાં જણાવ્યું હતું કે આ સિવાયના અમુક જિલ્લાઓમા અમે માહિતી મેળવી નથી શક્યા ત્યાં તપાસ કરવામાં આવે તો હજુ પણ આ યાદીમાં ઘણા નામ ઉમેરાવાની પૂરી શક્યતાઓ રહેલી છે.
વિશેષમાં ભાવેશભાઈ સોલંકીની 2020 ની ફરિયાદમાં ઉલ્લેખ કરેલ જિલ્લાઓના જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અહેવાલ રજૂ કરવા જણાવેલ, જેમાં સબંધિત જિલ્લા પંચાયતોએ શરતચૂકથી ભરતી થઈ છે તેવું સ્વીકાર્યું છે. વિશેષમાં ભાવેશભાઈ સોલંકીએ કહ્યું હતું કે જિલ્લા પંચાયતોએ ભરતીમાં ગેરરીતિ સ્વીકારી હોવા છતાં હજુ સુધી તે બાબતે કોઈ પગલા લેવામાં આવેલ નથી અને મેરીટમાં આવતા મૂળ હકદારને નોકરી આપવામાં આવેલ નથી જે ખૂબ જ નિંદનીય બાબત છે.
