વરસાદ વચ્ચે તૂટેલા કાચવાળી દોડાવાતી ST બસો
ભુજ-ભાવનગર રૂટની બસમાં મુસાફરોની જિંદગી સાથે ખૂલ્લેઆમ ચેડાં થતા હોવાની હિતરક્ષક સમિતિની ફરિયાદ
રાજ્ય સરકાર તાઈફાઓ પાછળ કરોડોના ખર્ચાઓ કરે છે અને નવી બસો લોકાર્પણ કાર્યક્રમો કરી વાહ વાહી મેળવી રહી છે. પરંતુ અનેક બસોમાં આજે ગુજરાતમાં ડિવિઝનમાં કાચ બદલવા નાણા નથી અથવા કાચ નથી એ સત્ય અને ગળે ન ઉતરે તેવી હકીકત છે. ભુજ ભાવનગર GJ-18Z 1525 ભુજ ડેપોની આ બસ બપોરે 3-15 કલાકે રાજકોટના એસ.ટી બસ પોર્ટ પર હતી ત્યારે ગજેન્દ્રસિંહ ઝાલાએ જોયું તો આ બસનો ફ્રન્ટલ ગ્લાસ (ડ્રાઇવરની આગળનો મુખ્ય કાચ) તૂટેલી હાલતમાં અને ગણી ન શકાય એટલી તિરાડો વારો હતો એટલે આંધળો કાચ કહેવાય વરસાદની સિઝન છે ત્યારે રાત્રિના સમયે ચાલતી આ બસ મુસાફરો માટે અને ડ્રાઇવર માટે અત્યંત જોખ્મી ગણાય.
તૂટેલા કાચ અંગે બસપોર્ટ પરથી ભુજ ડેપોના ડેપો મેનેજર અને વિભાગીય નિયામક સાથે ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલાએ બસના તુટેલા કાચ અંગે લેખિતમાં ફરિયાદ કરી અને ટેલિફોનિક વાત કરી ત્યારે વિભાગના વિભાગીય નિયામકે (મો - 63599 19029) જણાવ્યું કે હાલ કાચ ડિવિઝનમાં જ નથી પણ જ્યારે કાચ આવશે એટલે તાત્કાલિક બદલવામાં આવશે. અહીં સવાલ એ છે કે આ પ્રકારના તૂટેલા કાચના કારણે મુસાફરો માથે મોતની લટકતી તલવાર હોય ત્યારે આ પ્રકારના લાંબા રૂૂટમાં ચાલતી આવી બસમાં કોઈકનો લાડકવાયો કે કોઈકનો કંધોતર છીનવાઈ જાય તો જવાબદારી કોની રહેશે ? તેની સ્પષ્ટતા સરકાર કરે.
અગાઉ ભંગાર અને ખખડધજ ચાલતી બસો અંગે જવાબદારી ફિક્સ કરવા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના એમડી અને વાહન વ્યવહાર મંત્રીને પણ પત્ર વ્યવહાર કરેલ છે ત્યારે ડેપો મેનેજર કે ડિવિઝનના ઇજનેરોની બેદરકારી અને લાપરવાહી જણાય તો કડક પગલાં ભરવા જોઈએ અને જવાબદારી પણ ફિક્સ થવી જોઈએ આ પ્રકારની લાલીયાવાડી કોઈપણ સંજોગોમાં ચલાવવામાં આવશે નહીં.
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ, અંકલેશ્વર અને ભુજ ના પ્રતિનિધિ બળવંતસિંહ પઢિયાર, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલાની સંયુક્ત યાદીમા જણાવું છે.