રાજકોટ-ગોંડલ સિક્સલેનની ધીમી કામગીરીથી ટ્રાફિક સમસ્યા વકરી
રાજકોટ ચેમ્બર હાઈવે ઓથોરિટી વચ્ચે બેઠક યોજાઈ
દિવસના બદલે રાત્રીના, ત્રણ-ચાર કિમીની તબક્કાવાર કામગીરી કરવા અને રીબડાથી લોઠડા સુધી રોડ ડાઈવર્ટ કરવા માંગ
રાજકોટ-ગોડલ નેશનલ હાઈ-વે સતત ધમધમતો હાઈવે છે. તેમજ આ હાઈ-વે જુનાગઢ, પોરબંદર, સોમનાથ વિગેરે સ્થળોને જોડતો મુખ્ય માર્ગ ગણાય છે અને રાજકોટ-ગોડલ નેશનલ હાઈવેની આસપાસ શાપર-વેરાવળ, હડમતાળા, વાવડી, કાંગશીયાળી, કોઠારીયા વિગેરે જેવા મોટા ઈન્ડસ્ટ્રીયલ એરીયાઓ આવેલ હોય રોજ બરોજ વેપાર-ઉદ્યોગકારો અને આમ પ્રજાજનો દિવસ રાત અવર-જવર કરતા હોય છે.
હાલમાં રાજકોટ-ગોંડલ સીકસ લેન નેશનલ હાઈવેનું કામ કાજ ચાલી રહયું છે. જેના કારણે ખુબ જ મોટા પ્રમાણમાં કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે અને લોકોના સમયની સાથે, નાણા અને ઈપણનો પણ વ્યય થાય છે. ત્યારે આ કામગીરી દરમ્યાન પડતી વિવિધ મુશ્કેલીઓને ધ્યાને લઈ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન હડમતાળા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, વાવડી ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, લોઠડા-પીપલાણા-પડવલા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનને સાથે રાખી આજરોજ તા.16-1-2025 ના રોજ રાજકોટ ચેમ્બર હોલ ખાતે નેશનલ હાઈ-વે ઓથોરીટી ઓફ ઈન્ડિયા-રાજકોટના એન્જીનીયર, રેસીડેન્ટ એન્જીનીયર, ટીમલીડર, કોન્ટ્રકટર સાથે મિટીંગ યોજવામાં આવેલ હતી.
આ મિટીંગમાં ખાસ કરીને હાલ જે કામ ચાલી રહયું છે તેમાં મોટાભાગનું કામ રાત્રીના સમયમાં કરવામાં આવે તો કામ ઝડપી પુર્ણ થઈ શકે તેમ છે. તેમજ જે એકસાથે 8 કી.મી.નું કામ કરવામાં આવે છે તેના બદલે તબકકાવાર બે કે ત્રણ કિ.મી.નું કામ કરવું જોઈએ જેથી કરીને ટ્રાફિક ન ઉદભવે. તેમજ રીબડા થી લોઠડા સુધી રોડ પણ ડાયવર્ટ કરવો જોઈએ. નેશનલ હાઈવે ઓથો રીટીના અધિકારીેએ જણાવેલ કે, 6 લેન હાઈવે પ્રોજેકટનું કામ આશરે 117 કી. મી. જેટલું છે અને તેમાંથી આશરે 60 થી 65% કામ પુર્ણ પુર્ણ થયું થયું છે. .તેમજ શાપર-વેરાવળ પાસે જયાં ટ્રાફિક ઉદભવે છે ત્યાં બીજ નીચે બે કે ત્રણ જગ્યાએ ગેપ રાખવામાં આવશે જેથી નાના વ્હીકલો જઈ શકે અને ટ્રાફિક ન થાય. વધુમાં આ કામગીરી દરમ્યાન RMC, પાણી પુરવઠા, PGVCL સલંગ્ન અમુક સમસ્યાઓ ઉદભવી રહી છે તે ધ્યાને મુકેલ.
જિલ્લાના મુખ્ય અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરાશે : ચેમ્બર
વી.પી. વૈષ્ણ વએ જણાવેલ કે, આ કામગીરીનું તેમની ટીમ સાથે આવતી કાલે રાજકોટ થી ગોડલ સુધીનું સ્થળ તપાસ કરીને ઉદભવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આગામી ટૂંક સમયમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની રાહબારી હેઠળ ક્લેકટરની અધ્યક્ષતામાં, મ્યુનીશીપલ કમિશ્નર, પોલીસ કમિશ્નર, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, પીજીવીસીએલ-જેટકો ડિપાર્ટમેન્ટ, પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ વિગેરેને સાથે રાખી એક સંયુક્ત મિટીંગનું આયોજન કરીશું. જેથી કરીને મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે. આમ આ તમામ બાબતો ખાસ ધ્યાને લઈ રાહદારીઓને અવર-જવર કરવામાં પડી રહેલી મુશ્કેલીઓનું તેમજ ટ્રાકિફ સમસ્યાનું નિરાકરણ લાવવા ભારપુર્વક રજુઆત કરવામાં આવેલ હતી.