મોરબીમાં નાલાની ખુલ્લી કુંડીમાં પડી જવાથી છ વર્ષના બાળકનું મૃત્યુ
મોરબીમાં નવલખી ફાટક નજીક નાલાની ખુલ્લી કુંડીમાં પડી જતા 6 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે. જેને લઈને બાળકના પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે. બીજી તરફ આ મામલે પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી ફાટક પાસે સેન્ટમેરી સ્કૂલના દરવાજા સામે નાલાની ખુલ્લી 8સ8 ફૂટની જીવલેણ કુંડી આવેલ છે. આજે સાંજે 5:30 વાગ્યાના અરસામાં રવિ સનાભાઈ નાયક (ઉ. વ. 6) રહે. નવલખી રોડ લક્ષ્મી નારાયણ સોસાયટી આ કુંડીમાં પડી ગયો હતો. આ કુંડીમાં ગંદુ પાણી અને કચરો હતો.બાળક કુંડીમાં પડી જતા તેનું કરુણ મોત નીપજ્યું છે.
આ બનાવને પગલે પોલીસે અકસ્માતે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બાળકના પરિવારજને જણાવ્યું કે અમે માત્ર સામાન ખાલી કરવા ગયા હતા. બાળક ભાગ લેવા ગયો હતો. પાછો ન આવતા સીસીટીવીમાં જોયું હતું. બાદમાં આ કુંડીમાંથી અમે લાકડા અને સળિયાની મદદથી બાળકને બહાર કાઢ્યો હતો. પણ બાળકનો જીવ બચ્યો નહિ. જો આ કુંડી ઢાકેલી હોત તો બાળક અમારી વચ્ચે હયાત હોત. ઉલ્લેખનીય છે કે આ ખુલ્લી કુંડીને લઈને પાલિકામાં અગાઉ અનેક રજૂઆતો થઈ છે પણ કોઈ કાર્યવાહી ન થતા અંતે બાળકનો ભોગ લેવાયો છે.