જામનગર જિલ્લામાં SIR ફોર્મની કામગીરી 100% પૂર્ણ, 16 ડીસે.મતદારયાદી પ્રસિદ્ધ કરાશે
જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે SIR અંતર્ગત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી વહીવટીતંત્રની કામગીરી બિરદાવી
ભારતના ચૂંટણી આયોગ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા-2026નો સુધારેલ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં હાલ SIR અંતર્ગત ચાલી રહેલ કામગીરીને લઇને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગણતરી ફોર્મની કામગીરી 100% તેમજ આયોજનબદ્ધ પૂર્ણ કરવા બદલ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વહીવટીતંત્રની કામગીરી બિરદાવી હતી.
એસ.આઈ.આર.ની કામગીરીમાં જિલ્લા વહીવટી તંત્રને તથા લોકોને સહયોગ આપવામાં મદદરૂૂપ થવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ જરૂૂર જણાયે ચૂંટણીશાખાનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મતદારયાદી ખાસ સઘન સુધારણા-2026ના સુધારેલ કાર્યક્રમ મુજબ તા.11 ડીસેમ્બર સુધી ગણતરીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં ગણતરી ફોર્મની કામગીરી 100% પૂર્ણ થઇ છે.તા.16 ડીસેમ્બરના રોજ પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
જામનગર જિલ્લામાં હાલ મતદારયાદીના કુલ 1242 ભાગ છે. જે મતદાન મથક પુનર્ગઠન થવાથી 1388 થશે. એટલે કે 146 ભાગનો વધારો થશે. જે મુજબ મતદારયાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થશે. તા.27-10-2025ની સ્થિતિએ જિલ્લાના કુલ મતદારો 12,41,097 છે. જેમના એન્યુમરેશન ફોર્મનું બી.એલ.ઓ. મારફતે ડીસ્ટ્રીબ્યુશન કરી તે પૈકીના 10,60,162 ફોર્મ ડીજીટાઈઝ્ડ પણ થઇ ચુક્યા છે.
1,80,934 ફોર્મ કલેક્ટ થઇ શક્યા નથી તે પૈકી 42,940 લોકોનું અવસાન થઇ ચુક્યું છે. 37,918 મતદારો ગેરહાજર કે મળી શક્યા નથી. 90,057 લોકો કાયમી સ્થળાંતર કરી ચુક્યા છે. 6260ની પહેલાથી નોંધણી થઇ ચુકી છે અને 3759 લોકોના અન્ય કારણોનો સમાવેશ થાય છે. ગણતરી ફોર્મ કલેક્ટ થઇ ન શક્ય હોય તેવા મતદારોના નામ મતદારયાદીમાં પ્રસિદ્ધ થશે નહી. નામ કમી થયેલ હોય તેવા મતદારોએ જો પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવવું હોય તો નવેસરથી ફોર્મ ભરવાનું રહેશે.
જામનગર જિલ્લામાં તા.10-12-2025ની સ્થિતિએ વર્ષ2002ની યાદીમાં નામ ન હોય તેવા 1,88,235 લોકોનું મેપિંગ કરવાનું બાકી છે. જે મતદારોનું વર્ષ-2002ની મતદારયાદી સાથે મેપિંગ નહી થયેલ હોય તેવા મતદારોને નોટીસ આપવામાં આવશે. મતદારે ભારતના ચૂંટણી આયોગ દ્વારા માન્ય કરવામાં આવેલ પુરાવા પૈકીના જરૂૂરી પુરાવાઓ રજુ કરવાના રહેશે. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આદર્શ બસેર, મતદાર નોંધણી અધિકારીઓ, અગ્રણી બીનાબેન કોઠારી, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ વગેરે હાજર રહ્યા હતા.