પાણી લીક થવાથી વિમાનમાં શોર્ટ સર્કિટ? અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નવો દાવો
વિમાન દુર્ઘટનાના પીડિતોનો કેસ લડતા વકીલે ફલાઇટનો ડેટા રેકોર્ડ માંગ્યો, પાઇલટની ભૂલને પણ નકારી, શોર્ટ સર્કિટથી એન્જિન ફેઇલ થયાની થિયેરી
અમદાવાદ વિમાન અકસ્માતને લઈને એક નવી થિયરી સામે આવી છે. જેના પ્રમાણે વિમાનમાં શોર્ટ સર્કિટ થવાની શક્યતા છે, જેનું કારણ પાણીનું લીકેજ હોઈ શકે છે. એક અમેરિકન એટોર્નીએ આ દ્રષ્ટિકોણથી તપાસને આગળ વધારવા માટે ફ્લાઈટ ડેટા રેકોર્ડ માગ્યો છે અને પાઇલટ પર દોષનો ટોપલો નાખવાના પ્રયત્નને પણ નકારી દીધો છે.
અમદાવાદમાં ઍર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે અમેરિકાના એક વરિષ્ઠ વકીલે એક નવી શંકા વ્યક્ત કરી છે અને AI-171 ના ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR ) પ્રદાન કરવાની માંગ કરી છે.
માઇક એન્ડ્રુઝ નામના આ વકીલ આ વિમાન દુર્ઘટનાના મોટાભાગના પીડિત પરિવારોનો કેસ લડી રહ્યા છે. તેમનું કહેવું છે કે કદાચ વિમાનના પોર્ટેબલ વોટર સિસ્ટમમાં લીકેજ થયું હતું, જેના કારણે શોર્ટ સર્કિટ થયું હતું અને વિમાનના બંને એન્જિન ફેલ થઈ ગયા હતા. તેમણે અમેરિકામાં માહિતી સ્વતંત્રતા અધિનિયમ (FOIA ) હેઠળ આ વિનંતી કરી છે.
સમાચાર એજન્સી અગઈં ના અહેવાલ મુજબ, ઍર ઇન્ડિયાના ક્રેશ થયેલા બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનના મોટાભાગના પીડિત પરિવારોના દાવાઓની હિમાયત કરી રહેલા વરિષ્ઠ અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝ કહે છે કે આ અકસ્માતકદાચ શોર્ટ સર્કિટને કારણે થયો હતો અને ક્રૂની કોઈ ભૂલને કારણે નહીં. તેમણે માહિતી સ્વતંત્રતા અધિનિયમ હેઠળ યુએસ ઉડ્ડયન સત્તાવાળાઓ સમક્ષ ઔપચારિક અરજી દાખલ કરી છે, જેથી સ્વતંત્ર તપાસ માટે FDR ડેટા મેળવી શકાય. FDR ને સામાન્ય રીતે બ્લેક બોક્સ તરીકે ઓળખવામાં આવે છે.
એન્ડ્રુઝ દલીલ કરે છે કે આ અકસ્માત કોઈ અજાણી ટેકનિકલ ભૂલને કારણે થયો હશે, પાઇલટને કારણે નહીં. તેમણે આ વિશે જણાવ્યું હતું કે અમારા પુરાવા ખૂબ જ મજબૂત છે કે વિમાનની રક્ષણાત્મક પાણી પ્રણાલીમાંથી પાણી લીકેજ થવાથી ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ થઈ હશે, જેના કારણે AI 171 વિમાનની મહત્વપૂર્ણ સિસ્ટમો નિષ્ફળ ગઈ.
તેમણે એવો પણ દાવો કર્યો છે કે શોર્ટ સર્કિટને કારણે, ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ આપમેળે કપાઈ ગયો હશે, જેના કારણે બંને એન્જિનને એકસાથે પાવર મળતો બંધ થઈ ગયો હતો. તેઓ કહે છે જો આ સાચું હોય, તો તેનો અર્થ એ છે કે એન્જિન દ્વારા થ્રસ્ટનું નુકસાન સિસ્ટમ નિષ્ફળતા હતી, ફ્લાઇટ ક્રૂની ભૂલ નહીં આ દલીલ 14 મેના રોજ યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA ) દ્વારા જારી કરાયેલ ઍરવર્થીનેસ ડાયરેક્ટિવ પર આધારિત છે જેમા ખાસ કરીને બોઇંગ 787 ઉડતી ઍરલાઇન્સને પાણી લીકેજ થવાની શક્યતા વિશે ચેતવણી આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે જો પોર્ટેબલ વોટર સિસ્ટમમાંથી પાણી લીક થાય છે, તો તે ઇલેક્ટ્રોનિક સાધનોના માર્ગો સુધી પહોંચી શકે છે જ્યાં ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ્સ અને એવિઓનિક્સ જેવા મહત્વપૂર્ણ ભાગો સ્થિત છે.
અકસ્માતમાં 260 લોકોના મોત થયા હતા
12 જૂનના રોજ થયેલા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યોના મોત થયા હતા જેમા જમીન પર રહેલા 19 લોકોનો સમાવેશ થાય છે. વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટથી લંડનના ગેટવિક જઈ રહ્યું હતું, પરંતુ ટેકઓફ થયાના લગભગ દોઢ મિનિટ પછી મેડિકલ કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનાની તપાસ ભારતના ઍરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહી છે.