દ્વારકાના સાત ગામોનો દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ
વસઈ, ભીમરાણા, મેવાસા, ટોબર, મકનપુર, મોજપ, મીઠાપુર DOUDAમાં સમાવાયા
ગુજરાત રાજયના નવા મંત્રી મંડળની રચના સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દ્વારકા પંથકને દિવાળીની ભેટ આપતા દ્વારકા તાલુકાના વસઈ, ભીમરાણા, મેવાસા, ટોબર, મકનપુર, મોજપ અને મીઠાપુરને દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (DOUDA)માં સમાવેશ કરાયો છે. દ્વારકા બેટ દ્વારકા નાગેશ્વર જયોતિર્લિંગ શિવરાજપુર બીચના વિકાસ સાથોસાથ હવે આ નવા સમાવાયેલા સાત ગામડાઓમાં પણ શહેરી વિકાસના ધારાધોરણો અનુસાર સુવિધાઓમાં વધારો થશે.
યાત્રાધામ દ્વારા અને આસપાસના શિવરાજપુર બીચ, નાગેશ્વર જયોતિર્લિંગ, બેટ દ્વારકામાં છેલ્લાં વર્ષોમાં વિકાસલક્ષી અનેક પ્રોજેકટ્સ અમલમાં મૂકાયા છે અને આગામી સમયમાં પણ દ્વારકા કોરીડોર સહિતના અનેક પ્રોજેકટ્સ આવી રહયા હોય અને દિન-પ્રતિદિન સમગ્ર દ્વારકા પંથકમાં યાત્રીકો તથા પર્યટકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહયો છે ત્યારે થોડા સમય પહેલા સમગ્ર ક્ષેત્રનું આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અનુસાર સુવિધાઓ સાથેનું ડેવલોપમેન્ટ થાય તે હેતુ દ્વારકા ઓખા શિવરાજપુર વરવાળા સહિતના ક્ષેત્રોને સમાવેશ કરતું DOUDAની રચના કરવામાં આવેલ. ત્યારે ગઈકાલે ગાંધીનગરથી બહાર પાડેલ જાહેરનામામાં આ ક્ષેત્રના વધુ સાત ગામોને DOUDAમાં સમાવેશ કરતા સમગ્ર પંથકમાં પ્રવાસન, તીર્થક્ષેત્ર અને વાણિજય ક્ષેત્રે વિકાસના નવા દ્વાર ખૂલશે. DOUDA ની સીમામાં ભૌગોલિક પરિસ્થિતિને આધારે આ ક્ષેત્રમાં હવાઈમાર્ગ શરૂૂ કરવાની સર્વે કામગીરી પૂર્ણ થઈ હોય દ્વારકા યાત્રાધામ શિવરાજપુર બીચ સાથે નજીકથી સંકળાયેલા મકનપુર, મોજપ, વસઈ સહિતના સાત ગામોને DOUDA માં સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આગામી સમયમાં ભીમરાણા ખાતે ઓઈલ કું.નું યુનિટ પણ ખૂલી રહ્યું છે. ત્યારે ભીમરાણા ગામને પણ DOUDAના કાર્યક્ષેત્રમાં સમાવાયું છે. દ્વારકા તાલુકાના મહત્ત્વના સ્થળોને DOUDAનું કવચ મળતા કરોડો રૂૂપિયાની ગ્રાન્ટ આ વિસ્તારમાં ફાળવવામાં આવી રહી છે જેના કારણે ઓથોરિટીની કાર્યસીમામાં સમાવિષ્ટ તમામ શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં શહેરી ધારાધોરણો અનુસાર આગામી સમયમાં રોડ રસ્તા, લાઈટ પાણી, ડ્રેનેથી લઈને માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની નેમ સાથે સમગ્ર ક્ષેત્રમાં વિકાસલક્ષી પ્રોજેકટ્સનું અમલીકરણ ગતિશિલ બનશે. દ્વારકા ક્ષેત્રમાં વર્ષોથી કાર્યરત ટાટા કેમીકલ્સ લી. તથા થોડા વર્ષો પૂર્વે શરૂૂ થયેલ આર.એસ.પી.એલ. (ઘડી ડીટરજન્ટ) નામના મહાકાય એકમોને પણ સમગ્ર ક્ષેત્રના ડેવલોપમેન્ટ સાથે લાભ મળશે.
આ સિવાય વસઈ ગામમાં પૌરાણિક જૈન મંદિરો આવેલાં છે જે પ્રાચીન શિલ્પકલાના બેનમૂન નમૂના સમાન હોય અને પુરાતત્ત્વ વિભાગમાં સમાવિષ્ટ હોય તેમની જાળવણી અને વિકાસ પણ આવનારા સમયમાં સુદ્રઢ બનશે. આ સિવાય ભીમરાણા ખાતે મોગલ માતાજીનું સુપ્રસિદ્ધ મોગલ ધામ પણ આવેલું છે.