લગ્નપ્રસંગમાં દારૂ, મજાક મસ્તીના ગંભીર પરિણામો : સમાજ ક્યારે જાગશે!
- બુધવારે વહેલી સવારે મીંઢોળબંધા યુવાનને હેરાન કરવા બનેવી, મિત્રો રૂમમાંથી ખેંચી ગયા ને સર્જાઈ કરુણાંતિકા : ફુલેકામાં ઘોડો ખેલાવવા જતા વરરાજો ખાબક્યોને સિધો જ હોસ્પિટલના બિછાને પહોંચ્યો : વિવિધ સમાજમાં ઘૂસી ગયેલા દૂષણો હજુ કેટલાક પરિવારોના માળા વીંખશે
લગ્ન પ્રસંગએ આનંદ અને ઉત્સાહનો પ્રસંગ છે. લગ્નની ખુશી દરેક પરિવારમાં હોય છે. અમુક કુરિવાજોના કારણે તેમજ વિવિધ સમાજમાં ઘુસી ગયેલા દુષણોના કારણે મજાક, મસ્તીના ગંભીર પરિણામો આવી રહ્યા છે. આવા દુષણો એન કુરિવાજો સામે સમાજ ક્યારે જાગશે ? સૌરાષ્ટ્રમાં તાજેતરમાં જ બનેલી બે ઘટના પરથી વિવિધ સમાજે શીખ લેવાની જરૂર છે.
રાજકોટમાં ઘંટેશ્ર્વર નજીક એસઆરપી કેમ્પ પાસે રહેતા રવિરાજસિંહ વાળાના મંગળવારે રાત્રે લગ્ન હતા ફેરા પૂરા થયા બાદ બનેવી સહિતના મિત્રો વરરાજાને ધરાર રૂમમાંથી ખેંચી ગયા અને સ્કોર્પિયો પલ્ટી ખાઈ જતા વરરાજાને કાળ આંબી ગયો હતો આ ઘટના પાછળ માત્રને માત્ર વરરાજાને હેરાન કરવા અને મજાક-મસ્તીમાં જ હસ્તા-રમતા પરિવારના જુવાનજોધ પુત્ર છીનવાઈ ગયો.
આ ઉપરાંત ભાવનગર પંથકમાં વરરાજાનું ફુલેકુ નિકળ્યું હતું જેમાં ઘોડી પર બેસેલા વરરાજા જુદા જુદા દાવ કરવા જતાં ઘોડી ઉંધામાથે પડતા વરરાજા દબાઈ ગયા હતા અને કેડના મકોડા અને પાસળીઓ ભાંગી જતા વરરાજા માંડવે પહોંચે તે પહેલા જ હોસ્પિટલના બીછાને બેસી ગયા હતા અને કાયમી પથારીવસ થઈ ગયા છે.
વિવિધ સમાજોમાં ઘુસી ગયેલા દુષણો અને કુરિવાજોના કારણે હસતા-રમતા પરિવારોના માળા વિખાઈ રહ્યા છે. લગ્ન પ્રસંગમાં દારૂ ઢીંચવો તે દરેક સમાજ માટે સાવ સામાન્ય બની ગયો છે. દારૂના દુષણના કારણે લગ્ન પ્રસંગમાં ઘણી વખત માતમ છવાઈ જાય છે એટલું જ નહીં પરંતુ દારૂના દુષણના કારણે કેટલાક લગ્ન પ્રસંગમાં ડખ્ખા થયાના કિસ્સાઓ મૌજુદ છે.
આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં વરરાજાને હેરાન કરવો, મજાક મસ્તી કરવી અને અમુક કુરિવાજો સૌરાષ્ટ્રના ગામડાઓમાં જોવા મળી રહ્યા છે. જેમાં ઘોડી પર બેઠેલા વરરાજાને ચીટિયા ભરવા, ઘોડીને સીગારેટના ડામ દેવા, વરરાજાને ઘોડી પરથી પછાડવો જેના ગંભીર પરિણામો વરરાજાને ભોગવવા પડે છે.
સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફુલેકા વખતે બંદુકમાંથી ભડાકા કરવાનો કુરિવાજ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. ફૂલેકા વખતે ભડાકા કરી પોતાનો અને પરિવારજનોનો વટ પાડવા જતાં અમુક શખ્સોને એ ખબર નથી રહેતી કે આના ગંભીર પરિણામો ભોગવવા પડે છે. અગાઉના કિસ્સામાં ફુલેકામાં ફાયરીંગ થવાના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે.
સૌરાષ્ટ્રમાં લગ્નપ્રસંગ માતમમાં ન ફેલાઈ જાય તે માટે વિવિધ સમાજના અગ્રણીઓએ આગળ આવીને લગ્ન પ્રસંગે દારૂ, મજાક મસ્તી જેવા કુરિવાજો, ફુલેકામાં ફાયરીંગ કરવા, ઘોડીને ખેલવવી સહિતના રિવાજો બંધ કરવા જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠી છે.