અંબાજી મંદિરમાં દિવાળી પર્વએ સવા કરોડ રોકડા, 400 ગ્રામ સોનું અને 50 લાખનું ગુપ્ત દાન
30 વ્યક્તિઓને નોટો ગણવાના મશીન સાથે બેસાડવા પડ્યા, કાઉન્ટર ઉપર 25 લાખની દાન ભેટ અર્પણ
હાલમાં દિવાળી અને વિક્રમ સવંત 2082ના નવા વર્ષનો મીની વેકેશન પૂર્ણ થયું છે ત્યારે આ સાતથી આઠ દિવસમાં યાત્રાધામ અંબાજી ખાતે 8 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી છે અને બેસતુ વર્ષ અને લાભ પાંચમે માં અંબેના દર્શન કરી પોતાના ધંધા અને પેઢીના મુહૃત કર્યા હતા ત્યારે આ 7 થી 8 દિવસ માં આવેલા લાખો શ્રદ્ધાળુઓએ માં અંબેના ભંડારાને દાન દક્ષિણાથી દાન પેટીઓ છલકાવી દીધો છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પોતાના કર્મચારીઓ થકી ભક્તો દ્વારા ભંડારમાં નાખવામાં આવેલા દાન દક્ષિણાની રોકડ રકમની ગણતરી હાથ ધરવામાં આવી હતી અને 25 થી 30 જેટલો મેન પાવર સાથે ચલણી નોટો ગણવા માટે મશીન પણ લગાવવામાં આવ્યા હતા. સાતથી આઠ દિવસના આ મીની વેકેશનમાં અંબાજી મંદિરને રૂૂપિયા સવા કરોડ જેટલી માતબર રકમની રોકડ ભેટ મળવા પામી છે જેમાં એક રૂૂપિયા કરોડની રોકડ ભેટ યાત્રિકોએ છુટા હાથે ભંડારામાં નાખી હતી. જયારે રૂૂપિયા 25 લાખ જેટલી રકમની કાઉન્ટર ઉપર નોંધણી કરાવી ભેટ અર્પણ કરી હતી.
એટલું જ નહિ આ મીની વેકેશન દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટને 400 ગ્રામ જેટલું સોનાનું દાન પણ પ્રાપ્ત થયું છે જે શ્રદ્ધાળુઓ એ સોનાની લગડીઓ મંદિરના ભંડારમાં ગુપ્ત દાન તરીકે નાખવામાં આવી હતી. જે અંદાજે આ મીની વેકેશન દરમિયાન 50 લાખ ઉપરાંતનું સોનુ મંદિર ટ્રસ્ટને ગુપ્ત દાન મળવા પામ્યું છે.
મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વેકેશન દરમિયાન યાત્રિકોને સુચારુ રૂૂપે માતાજીના દર્શન મળી રહે તે માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેને લઇ આ મીની વેકેશન દરમિયાન કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના બનવા પામી નથી અને હજી યાત્રિકોનો અવિરતપણે પ્રવાહ મંદિરે જોવા મળી રહ્યો છે જે આગામી કાર્તકસુદ પૂર્ણિમા એટલે કે દેવદિવાળી સુધી હજી યાત્રિકોનો ઘસારો રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
