ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સૌરાષ્ટ્ર-ગુજરાતને સતત ધમરોળતું માવઠું: રાજુલામાં વધુ 9 ઇંચથી જળબંબાકાર

11:56 AM Oct 28, 2025 IST | admin
Advertisement

239 તાલુકામાં ઝાપટાથી માંડી સાડા નવ ઈંચ સુધીના કમોસમી વરસાદથી દિવાળી બાદ ખેડૂતોના ઘરમાં હોળી, મોઢે આવેલો કોળિયો છિનવાયો

Advertisement

રાજ્યના 239 તાલુકામાં કમોસમી વરસાદ, ડેમોમા નવાનીરની આવક, તંત્ર રેસ્કયુ સહિતની કામગીરીમાં વ્યસ્ત

ગુજરાતમાં શિયાળાના પ્રારંભે જ સાયકલોનીક સરકુયલેશન સર્જાતા છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં બે દિવસથી અનરાધાર વરસાદે જળબંબાકારની સ્થિતી સર્જા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત બે દિવસથી પડેલા વરસાદે ભારે તારાજીના દૃશ્યો સર્જ્યા છે.જેમાં ગઇકાલે પણ ભાવનગર અને અમરેલી જિલ્લામાં એક થી નવ ઇંચ જેટલુ પાણી વરસી જતાં નદીઓ બે કાંઠે વહી હતી તેમજ ખેતરો પાણીમાં ગરકાવ થઇ જતાં ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઇ જતા દિવાળીમાં ખેડૂતોના ઘરમાં હોળી જેવો માહોલ જોવા મળ્યો છે. રાજ્યના 239 તાલુકાઓમાં ગઇકાલે અડધાથી નવ ઇંચ જેટલો ભારે વરસાદ વરસી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

રાજ્યમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ ચાલુ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 239 તાલુકામાં માવઠું થયું છે. જાણે ફરી ચોમાસુ સક્રિય થયું હોય તેમ અમરેલીના રાજુલામાં 9 ઇંચથી વધુ વરસાદ સાથે ભાવનગરના મહુવામાં સતત બીજા દિવસે સાડા 7 ઇંચ વરસાદ તથા ખેડાના ગલતેશ્વરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના ઉનામાં 5 ઇંચથી વધુ વરસાદ છે. તેમજ અમરેલીના લીલિયામાં 5 ઇંચથી વધુ વરસાદ તથા અમરેલીના સાવરકુંડલામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

વડોદરા, ખાંભા, સૂત્રાપાડામાં સાડા 4 ઇંચ વરસાદ સાથે તળાજા, ગીરસોમનાથ, પાટણ-વેરાવળમાં 4 ઇંચ વરસાદ તથા કોડીનાર, વલ્લભીપુર, ઉમરપાડા, બારડોલીમાં 4 ઇંચ વરસાદ અને 12 તાલુકામાં 3 ઇંચ સુધી વધુ કમોસમી વરસાદ વરસ્યો છે. 40થી વધુ તાલુકામાં અઢીથી 2 ઇંચ સુધીનો વરસાદ છે. અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદી કહેરના કારણે કફોડી હાલત ધરતીપુત્રોની બની છે. મગફળી, કપાસ અને ડાંગર સહિતનો પાક કાપણી પર છે ત્યારે જ વરસાદ વરસતા મોઢે આવેલો કોળિયો છિનવાઈ ગયો છે. કમોસમી વરસાદને કારણે જગતનો તાત આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. હાલમાં પાક લણવાનો સમય છે, ત્યારે જ કુદરતી આફત વરસતા ખેતરમાં રહેલા મગફળી, ડાંગરના પાથરા પાણીમાં ડૂબ્યાં છે. માવઠાંને પગલે ઘરતીપુત્રોને ડાંગર, કપાસ, તમાકુ, એરંડા, બાજરી, શાકભાજી સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

અમરેલી જિલ્લામાં વરસેલા ધોધમાર કમોસમી વરસાદથી જળપ્રલયની સ્થિતિ સર્જાય છે. જિલ્લાના તમામ નદી-નાળા છલકાયા છે. ખેતરો તળાવમાં ફેરવાયા છે. અનેક રસ્તાઓ વરસાદી પાણીથી બંધ થયા.રાજુલાના દાતરડી સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદથી દાતરડીથી જતા તમામ રસ્તાઓ પર જળમગ્ન બનતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી. ધોધમાર વરસાદથી જાફરાબાદનું ટીંબી ગામ પાણી પાણી થયું. સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. માંડળ, પરડા, કુંભારીયા, દેવકા, બાલાપર, મસુનદડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા જોરદાર માવઠાને લીધે રસ્તાઓ જળબંબાકાર થયા.

સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે. સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર સર્જાતા રાજુલાનું ચોત્રા ગામ જળબંબાકાર થયું. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નજીક વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. સતત વધી રહેલા પાણીના પ્રવાહથી ગ્રામજનોની સ્થિતિ વિકટ બની. જાફરાબાદના સરવડાનું તળાવ ઓવરફ્લો થતા કોઝવે પાણીમાં ગરકાવ થયો.તળાવના પાણી ગામ અને આસપાસના ખેતરોમાં ફરી વળ્યા. ખેતરોમાં વરસાદની સાથે તળાવના પાણી ઘુસતા કૃષિ જમીનનું પણ ધોવાણ થયું. જાફરાબાદના ગ્રામ્ય પંથક એવા સોખડા, લોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. સોખડા અને લોર ગામની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યુ.ધાતરવડી નદીના ધસમસતા પ્રવાહમાં વીજપોલ પણ ધરાશાયી થયો. જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જાફરાબાદના નાગેશ્રી ગામમાં વરસેલા મુશળધાર વરસાદથી નદીઓ તોફાની બની.ખેતરોમાં પણ વરસાદી પાણી વહેતા થયા. નાગેશ્રી ગામના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.

ગોહિલવાડ પંથકમાં કમોસમી વરસાદ ચાલુ રહ્યો છે. માવઠા એ સમગ્ર જિલ્લામાં જળબંબાકાર ની સ્થિતિ ઊભી કરી છે. જિલ્લાના કેટલા ગામો તો એવા છે કે જ્યાં ચોમાસામાં વરસાદ પડ્યો નથી તેઓ વરસાદ હાલમાં પડી રહ્યો છે. જિલ્લાના મહુવામાં વધુ સાડા સાત ઈંચ વરસાદ પડ્યો છે. મહુવામાં સતત વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાના અન્ય તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો છે. આજે મંગળવારે સવારે 6 કલાકે કલાકે પૂરા થતા પહેલા 26 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 110, ઉમરાળામાં 62, ભાવનગર શહેરમાં 37, ઘોઘામાં 25, સિહોરમાં 64, ગારીયાધારમાં 57, પાલીતાણામાં 43, તળાજામાં118, મહુવામાં 187 અને જેસર માં 81 મી.મી. વરસાદ નોંધાયો છે.

ભાવનગર જિલ્લાના ઘોઘાના કુકઙ અને આસપાસના ઓદરકા, નવાગામ, કંટાળા, ગોરીયાળી (રામપર) ગરીબ પુરા, ભાખલ, વાવઙી, પીથલપુર, છાયા, પાણીયાળી, સહિતના વિસ્તારોમાં મેધ તાંડવને કારણે રોડ રસ્તામાં ગાબઙા પઙયા છે અનેક રસ્તાઓ ધોવાયા છે. તો કમોસમી ભારે વરસાદથી મગફળી, કપાસ, ડુંગળી, જુવાર, બાજરી કેળ સહિતના પાકોમાં વ્યાપક નુકશાન થતા ખેઙુતોને પઙયા ઉપર પાટું, મોંઘાદાટ ખાતર -બિયારણ નાખ્યાં હોવાથી ખેડૂતની મહેનત ઉપર પાણી ફરી વળ્યા છે. જેને કારણે લાખો રુપિયાનું નુકસાન થયું છે. નુકસાનનો સર્વ કરી વળતર ચુકવવા માંગણી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના અમુક ગામોમાં તો આખાય ચોમાસા નથી પડ્યો એટલો વરસાદ ત્રણ કલાક માં પડ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં સતત આજે ત્રીજા દિવસે અડધા થી પાંચ ઇંચ સુધી વરસાદ પડ્યો છે, આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળીનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આજે સવારે છ થી સાંજે છ વાગ્યા સુધીના આંકડા મુજબ ગીરગઢડામાં 109 મીમી (સવા ચાર ઇચ), તાલાલામાં 22 મીમી (એક ઇચ), વેરાવળમાં 5 મીમી (અડધો ઇચ), સુત્રાપાડામાં 25 મીમી (એક ઇચ), કોડીનારમાં 80 મીમી (પોણા ચાર ઇચ), ઉનામાં 115 મીમી (પાંચ ઇચ) વરસાદ પડયો છે. આ કમોસમી વરસાદને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મગફળીના વાવેતર માં પાક બરબાદ થતા તેમને આવક મળવાને બદલે વાવેતરમાં ખર્ચ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર તાત્કાલિક સહાય આપે તેવી માંગ ઉઠી છે. જિલ્લામાં સૌથી વધુ ઉના, ગીરગઢડા, કોડીનાર તાલુકામાં આ કમોસમી વરસાદ વધુ પડતા ચિંતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

રાજુલા પંથકમાં 170 લોકોનું રેસ્કયુ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉચૈયા ગામેથી 50, ભચાદરમાંથી 50 અને ધારાનાનેસ ગામેથી 70 એમ કુલ 170 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત અસરગ્રસ્તો માટે સ્થાનિક સ્તરેથી ફૂડપેકેટ સહિતની જરૂૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા સહિતના વિસ્તારમાં ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે, ભારે વરસાદના પગલે રાજુલા તાલુકાના પાંચ જેટલા ગામો અસરગ્રસ્ત બન્યા છે. વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂૂપે રાજુલાના ઉચૈયા ગામેથી 50, ભચાદરમાંથી 50 અને ધારાનાનેસ ગામેથી 70 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

જગત મંદિરે અધડી કાઠીએ ધ્વજારોહણ કરાયું
પશ્ચિમ ભારતના મહત્વના તીર્થસ્થાન દ્વારકાના ભવ્ય જગતમંદિરના શિખર પર ગઈકાલે સોમવારે ધ્વજા અડધી કાઠીએ લહેરાવાઈ હતી. કારણ કે ગઈકાલે સવારથી મોસમે મિજાજ બદલ્યો હતો અને વહેલી સવારથી વરસાદી વાતાવરણ છવાયું હતું. દ્વારકાના જગત મંદિરમાં દરરોજ છ ધ્વજાજી ચડાવવામાં આવે છે. અને ધજા ચડાવવા માટે ખૂબ મોટું વેઇટિંગ લિસ્ટ રહેલું છે. ભક્તોની મનોકામના પૂર્ણ થયે ધ્વજાજી ચડાવીને ભક્તો શ્રીજી સમક્ષ આભાર પ્રગટ કરે છે. તડકો હોય, વાવાઝોડું હોય, વરસાદ હોય પરંતુ કાયમ છ ધ્વજાજી ચડાવવાનો નિયમ રહેલો છે. દ્વારકાના ત્રિવેદી પરિવારના યુવાનો ધ્વજાજી ચડાવવાનું કામ કરે છે. 150 ફૂટ ઊંચા મંદિરના શિખર ઉપર લગભગ 25 ફૂટ લાંબો ધ્વજ દંડ આવેલો છે. આ ધ્વજદંડ પર ધ્વજારોહણ કરવામાં આવે છે. હવામાન ખાતાની આગાહી અનુસંધાને ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. ત્યારે જગત મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવતી ધજા સુરક્ષાના કારણોસર અડધી કાઠીએ ફરકાવવામાં આવી હતી.

કયા કેટલો વરસાદ
રાજુલા 9 ઇંચ
મહુવા 7.॥ ઇંચ
સુત્રાપાડા 7ઇંચ
ઉના 5.॥ઇંચ
લીલીયા 5.॥ ઇંચ
ગીરગઢડા 5.॥ ઇંચ
પાટણ-વેરાવળ 5 ઇંચ
સારવકુંડલા 5 ઇંચ
કોડિનાર 4॥। ઇંચ
ખાંભા 4॥। ઇંચ
વડોદરા 4॥। ઇંચ
તળાજા 4॥ ઇંચ
વલ્લભીપુર 4। ઇંચ
બારડોલી 4। ઇંચ
મેઘરજ 4 ઇંચ
ઉમરપાડા 3 ॥। ઇંચ

ગુજરાતમાં ઓક્ટોબરમાં સામાન્ય કરતાં બમણો વરસાદ, મોસમનો કુલ વરસાદ 127% થયો
અમદાવાદ: ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, સોમવારે સવાર સુધીમાં ગુજરાતમાં ઓક્ટોબરમાં લગભગ 43 મીમી વરસાદ નોંધાયો હતો, જે માસિક સરેરાશ 19 મીમી કરતાં બમણો છે. આ સાથે, રાજ્યનો વાર્ષિક વરસાદ આ વર્ષે લાંબા ગાળાના સરેરાશના 127% પર પહોંચી ગયો છે. IMD ડેટા મુજબ, ગુજરાત છ ભારતીય રાજ્યોમાં સામેલ છે જ્યાં ઓક્ટોબરમાં સામાન્ય કરતાં બમણાથી વધુ વરસાદ પડ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (SEOC) ના ડેટા દર્શાવે છે કે 2015 થી 2024 સુધી, ગુજરાતમાં ઓક્ટોબરમાં સરેરાશ 27.4 મીમી વરસાદ પડ્યો હતો, જે આ વર્ષનો આંકડો નોંધપાત્ર રીતે વધારે છે. છેલ્લા દાયકામાં, 2016માં ઓક્ટોબરમાં સૌથી વધુ 74.1 મીમી વરસાદ પડ્યો હતો, ત્યારબાદ 2019માં 60.6 મીમી અને 2024માં 50.4 મીમી વરસાદ પડ્યો હતો. મહિનાના ચાર દિવસ બાકી હોવાથી, નિષ્ણાતો માને છે કે આ આંકડો વધુ વધી શકે છે.

 

13 જિલ્લામાં યલો એલર્ટ: હજૂ ચાર દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં કમોસમી વરસાદ જાણે કહેર વરસાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથોસાથ આજે 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, અમદાવાદ છોટાઉદેપુર, વડોદરા, આણંદ ,નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ભરૂૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર, દીવ અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, જામનગર, રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી, સુરત, ભરૂૂચમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Tags :
gujaratgujarat newsheavy rainsMonsoonrainrain fallRajulaSaurashtraSaurashtra news
Advertisement
Next Article
Advertisement