સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું સ્ટેડિયમ 14 ફેબ્રુઆરીએ બનશે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નું સ્ટેડીયમ ઘણા વર્ષોથી ખંઢેરી સ્ટેડીયમ તરીકે ઓળખાય છે. હવે આ સ્ટેડીયમનું નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ નામકરણ કરવા સૌ.ક્રિકેટ એસોસીએશન દ્વારા કવાયત આદરાઇ છે. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની 3જી મેચ આગામી 15મી ફેબ્રુઆરીનાં દિવસે યોજાશે. તે પહેલાનાં દિવસે એટલે કે 14મી ફેબ્રુઆરીએ ખંઢેરી ‘નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ’ તરીકે નામકરણ પામશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ જયદેવ શાહે મિયિડા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સંભવત બી.સી.સી.આઇ.ના સેક્રેટરી જય શાહના હસ્તે સ્ટેડીયમનું નામકરણ થશે. આ તકે ભારત- ઇંગ્લેન્ડની ટીમનાં ખેલાડીઓ ઉપરાંત બીસીસીઆઇ એપેકસ કાઉન્સીલના સદસ્યો અને રાજય એસો.ના પદાધિકારીઓને પણ સ્ટેડીયમના નામકરણ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ અપાયું છે. ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમનું નામ બદલાઇ રહ્યું છે અને નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ તરીકે નામકરણ થશે તે વાતને સમર્થન આપતાં નિરંજન શાહના પુત્ર અને સૌ.કિ. એસો.ના પ્રમુખ જયદેવ શાહે પત્રકારોને જણાવ્યું હતું કે, પોતાના જીવનનાં 50 વર્ષ ક્રિકેટને સમર્પીત કરનાર નિરંજન શાહને સન્માનવાની આ એક મોટી ઘડી છે. તેઓ ભુતકાળમાં બીસીસીઆઇના સેક્રેટરી પદે પણ રહી ચુકયા છે.સૌરાષ્ટ્ર ક્રિકેટ માટે પણ નિરંજન શાહનું મહતમ યોગદાન આજે સૌને યાદ છે. આવા સમયે તેઓના નામનું ક્રિકેટ સ્ટેડીયમનું નામકરણ થાય તે રાજકોટ જ નહીં સૌરાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ વાત ગણાય.
7મી ઓક્ટોબર-2023ના રોજ કરાઇ હતી નામકરણની દરખાસ્ત
ગયા વર્ષે 7મી ઓકટોબર 2023નાં રોજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની વાર્ષીક સામાન્ય સભા મળી હતી. જેમાં ખંઢેરી તરીકે ઓળખાતા સૌ.ક્રિ. એસો.ના સ્ટેડીયમનું નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ નામકરણ કરવાની દરખાસ્ત મુકાઇ હતી. જેને ઉપસ્થિત સૌ પદાધિકારીઓએ સર્વાનુમતે સ્વીકારી હતી.
સૌરાષ્ટ્ર માટે 12 મેચો રમી નિરંજન શાહે બનાવ્યા 281 રન
એસસીએ અને બીસીસીઆઇના સેક્રેટરી તરીકે સેવા આપનાર નિરંજન શાહે સૌરાષ્ટ્ર માટે 12 મેચ રમી, 11.70ની રનરેટ એવરેજ સાથે 281 રન બનાવ્યા હતા.